નૂતનવર્ષનો નવલો સંકલ્પ અંતરના કોડિયામાં દીવડાં પ્રગટાવીએ

આઝાદી પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણાં ભારત દેશની અનેક અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ શકી નથી. અનેક આકાંક્ષા ફળિભૂત થઈ નથી. સ્વતંત્રતાના મીઠાફળ હજી રાષ્ટ્રના છેવાડાના માનવી સુધી પહોંચ્યા નથી. ભારત દેશમાંથી ગરીબી ઓછી થઈ નથી. બેકારી નાબુદ થઈ શકી નથી. વસ્તીવિસ્ફોટ અને નિરક્ષરતામાંથી મુકત થવા માટે દેશને હજુ અનેકવિધિ અંધારા ઉલેચવા પડશે. ગરીબીમાંથી બહાર આવવા ભગીરથ પ્રયત્નો આદરવા પડશે. સમાજના યુવાધનને વેડફાતું અટકાવવું પડશે. ભારતના ભાવિનાગરિકો એવા યુવાવર્ગને યોગ્ય દિશાસૂચન કરવું પડશે, ત્યારે જ દેશની આબાદી અને આઝાદી યથાર્થ થશે.

આજે મોંઘવારીનો કાલિયનાગ અત્ર-તત્ર-સર્વત્ર ફૂંફાડા મારે છે, તો વળી આતંકવાદ જનજીવનનો પીછો છોડતો નથી.

વર્ષોવરસ દીપોત્સવનો ઉમંગ પ્રજામાં ઝાંખો પડતો જાય છે. દિવાળીનો આનંદ આછો બનતો જાય છે. સમાજજીવન અને જાહેરજીવનના મૂલ્યો નાશ થઈ રહ્યા છે.  એકતા, સ્વાધીનતા, સહકાર અને શક્તિરૂપી, સમાજજીવનના રથના ચાર ચક્રોગતિશીલ રહે અને ભારત રાષ્ટ્રવિશ્ર્વ માટે દીવાદાંડીરૂપ બને એવી અપેક્ષા રાખીએ.

આવનારા વર્ષો સમાજ માટે ઉજ્જવળ થશે ત્યારે જ રાષ્ટ્રનું જનજીવન સમુજ્જવળ બનશે. ત્યારે જ મેરા ભારત મહાન કે આઈ લવ માઈ ઈન્ડિયા જેવા સૂત્રો સાર્થક થશે.

દીવાળીના આ આનંદ-ઉલ્લાસ અને પ્રકાશના પર્વને સાચા અર્થમાં જાણીએ તથા માણીએ સૌના અંતરને અજવાળીએ.

નવા વર્ષનો સુર્યોદય સૌ માટે પરિવર્તનની છડી પોકારતો તથા પ્રકાશનો પૂંજ પાથરતો બહુજન હિતાય અને બહુજન સુખાયનો મંગળ સંદેશ લઈને આવે તેની ભદ્રભાવના વ્યકત કરીએ. રાષ્ટ્રની આબાદી એ મારી આબાદી, રાષ્ટ્રનું કલ્યાણ એ મારૂં કલ્યાણ એની ભાવના સૌ ભારતવાસીઓમાં સાકાર થશે, ત્યારે ભારત રાષ્ટ્ર સાચા અર્થમાં કલ્યાણ રાજ્ય બનશે. સૌને નૂતનવર્ષાભિનંદન

About હરેશ સી. ભટ્ટ (વલસાડ)

Leave a Reply

*