મહુવા (જી. સુરત) ખાતે ‘લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલ માર્ગ’ નામકરણ એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયક સમારંભ

મહુવાના મોગલ પરિવારના યુવાન લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલે તા. ૩૦.૦૮.૨૦૧૦ના રોજ મધદરિયે સબમરીનમાં થયેલા અકસ્માતમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના પોતાના ૬ સાથીઓને બચાવ્યા હતા. એમની આ શહાદતને શૌર્યચક્ર (મરણોત્તર)નું રાષ્ટ્રીય સન્માન મળ્યું હતું. સ્વ. ફીરદોશના વડીલોનો વસવાટ મહુવા ખાતે હતો અને આજે પણ છે. મહુવા જુથ ગામ પંચાયતે ઠરાવ કર્યા કે મહુવાનાં પારસી મહોલ્લામાં ‘લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલ માર્ગ’ નામ આપવું. આ ઠરાવને અમલમાં મૂકવા માટે મહુવાના માલીબા સાંસ્કૃતિક ભવન ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવાના મુખ્ય મહેમાન પદે એક સમારંભનું આયોજન થયું હતું. ૭૦૦ જેટલા આમંત્રિતો અને ગામવાસીઓથી ખીચોખીચ ભરાયેલા આ ભવનમાં સમારંભના અતિથિ વિશેષ મુંબઈથી પધારેલ કોમોડર અસ્પી મારકર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મરહુમ ફીરદોશના કાકા ડો. હોસંગ મોગલ સંપાદિત પુસ્તિકા ‘ભરબપોરે સૂર્યાસ્ત’ની બીજી આવૃત્તિનું વિમોચન ગણપતભાઈના વરદ હસ્તે થયું હતુ.

ડો. હોસંગ મોગલે ‘ભરબપોરે સૂર્યાસ્ત’ પુસ્તિકા પ્રગટ કરવાનો હેતુ સમજાવ્યો હતો. આ પુસ્તિકા યુવા પેઢીમાં દેશપ્રેમ, દેશદાઝ અને દેશભક્તિની પ્રેરણા પૂરી પાડશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો. એમણે વધુમાં જણાવ્યું હતું કે જે દેશે આપણને આશરો આપ્યો અને તે કારણે આપણે આપણો ધર્મ સાચવી શકયા તે દેશની તન, મન અને ધનથી સેવા કરવાની આપણી ફરજ છે.

શ‚આતમાં પ્રાર્થના, દીપ પ્રાગટયની વિધિ થઈ હતી. ત્યારબાદ મહુવા પારસી અંજુમનના પ્રમુખ હોશી બજીનાએ મહેમાનોને આવકાર આપ્યો હતો અને આ અનોખા સમારંભમાં મહુવા પારસી અંજુમન કઈ રીતે સહભાગી બની તે હકીકત જણાવી ઉપસ્થિત મહાનુભાવોનું શાલ તથા ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ મહુવા જુથ ગામ પંચાયત તરફથી પણ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણપતભાઈએ સ્વ. ફીરદોશના માતા-પિતાને વંદન કરી પારસી સમાજનું ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે જે પ્રદાન થયું છે. તેની વિગત આપી નામાંકિત તાતા પરિવાર, ગોદરેજ પરિવાર, ડો. હોમી ભાભા, મેડમ કામાને યાદ કરી આ સમારંભમાં હાજર રહ્યા તે બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. આ વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ, સંસદ સભ્ય પરભુભાઈ તથા ડેપ્યુટી સરપંચે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કોમોડર અસ્પી મારકરે પારસી ગુજરાતમાં નેવીની કામગીરી અને તેમાં પણ ખાસ કરીને સબમરીનની જોખમકારક કામગીરી વર્ણવી હતી અને નેવીએ તેનો બાહોશ અને શૂરવીર લેફટ. કમાન્ડર ગુમાવ્યો તે બદલ અફસોસ વ્યકત કર્યો હતો. કોમોડર મારકરના વકત્વયથી શ્રોતાઓ મંત્ર મુગ્ધ થયા હતા. મહુવા ખાતેના આ સમારંભમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ દોટીવાલા, ટ્રસ્ટી યઝદી કરંજીયા, ટ્રસ્ટી ડો. ‚સ્તમ મોરેના તેમજ બારડોલી પારસી અંજુમન, વ્યારા પારસી અંજુમન તેમજ પારડી અને ગણદેવી પારસી અંજુમનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ગાપ પંચાયતના સભ્ય નિખિલભાઈ વ્યાસે આભારવિધિ કરી હતી અને ત્યાર બાદ રાષ્ટ્રીયગીત ગાઈ સમારંભ પૂર્ણ જાહેર કર્યો હતો. સમારંભ બાદ સર્વે આમંત્રિત મહેમાનો અને ગામજનો બપોરના ભોજનમાં સહભાગી થયા હતા.

Leave a Reply

*