શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો અને સઘળી ચીજો તેનાથી કિમતી બની. અગર જો જહાનમાં જોડું ન હતે તો શક્તિ છૂપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નવરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે, કે ‘ફલાણો જાલનો છોકરો છે અને ફલાણો સામનો છોકરો છે. તેનાથી (એટલે ફરજંદથી) તાજ તખ્ત સિંગાર પામેલું રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ  ચાલુ રહે છે. હવે હાલ એ સઘળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યા સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મહેરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે. મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ કામ કરે છે. દાનવ આદમીએ એ બાબે કજીયો કરવો નહીં જોઈએ, કારણ એ દીનનો રાહ છે અને એમાં શરમ જેવું કાંઈ નથી. ત્યારે તમો મારા દુરઆગાહ મોબેદો આ બાબે શું કહો છો? દાનવો આ બાબતમાં શું પરિણામ જુએ છે.

જાલના આ સખુનો સાંભળી, મિજલસમાં મોબેદો અને દાનવો ચુપ રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે મેહરાબનો વડવો જોહાક હતો અને તેથી મીનોચેરશાહને જાલ અને રોદાબેની શાદી પસંદ પડશે નહીં. સઘળાઓને ચુપ જોઈ જાલે જાણ્યું કે તેઓને આ વાત બરાબર પસંદ પડતી નથી. તેણે તેઓને કહ્યું કે ‘આ બાબતમાં શું કરવું તે બાબે તમો મને ઈલાજ સૂચવો.’ તેઓએ કહ્યું કે ‘મહેરાબ જો કે તારો બરોબરીઓ નથી, તો પણ તે બહાદુર અને શક્તિવાન છે. જો કે તે જોહાકના ટોળાનો છે, તો પણ તે આરબોનો સરદાર છે માટે તું સામ ઉપર કાગળ લખશે અને શાહ સામનો સખુન કરશે.’

આ સલાહ માન્ય કરી જાલે પોતાના બાપ સામ ઉપર કાગળ લખ્યો અને તેમાં તેની કેટલીક તારીફ કરી પોતાની હકીકત જણાવી, કે, ‘હું મહેરાબની બેટીની(મહોબત)થી રડતો થયો છુ અને જાણે રોશન આતશ ઉપર બળતો થયો છું. અંધારી રાતના સેતારાઓ મારા યાર થઈ પડયા છે (એટલે રાત્રે ઉંઘ આવતી નથી અને તારાઓને જોયા કરૂં છું) મારી હાલત દરિયાના કિનારા જેવી થઈ પડી છે (એટલે મહોબતના દુ:ખના મોજાઓ મારી ઉપર માર પડે છે) હું પોતે રંજમાં આવી પડયો છું અને સઘળા લોકો મારી હાલત પર દયા કરી રડે છે. જો કે મારા દિલ ઉપર આટલો સેતમ પડે છે તો પણ તારા ફરમાન વગર હું કાંઈ પણ કરવા માંગતો નથી. હવે તું જેહાન પહેલવાન શું ફરમાવે છે? તું આ દરદ અને સખ્તીથી મારા રવાનને છોડવ.’ જાલેજરે પોતાના બાપને વધુ યાદ આપી કે જ્યારે અલબુર્ઝ પહાડ પરથી સીમોર્ગ પાસેથી તેણે તેને કબજામાં લીધો હતો, ત્યારે ખોદાતાલા હજૂર કબૂલાત આપી હતી કે પોતે તે ફરજંદની જેબી કાંઈ ખાહેશ હશે તે બર લાવશે. તેથી જાલે બાપ પાસે માંગી લીધુ, કે તેની મહેરાબની બેટી સાથે પરણવાની હાલ જે ખાહેશ છે તે બર લાવવી.

(વધુ આવતા અંકે)

About મરહુમ ડો. સર જીવનજી મોદી

Leave a Reply

*