સોડાવોટરવાલા અગિયારીની 144મી સાલગ્રેહની ઉજવણી

તા. 4થી સપ્ટેમ્બર 2017ને ફરવર્દીન મહિનો અને ફરવર્દીન રોજને દિને મરીન લાઈન્સની સોડાવોટરવાલા અગિયારીના પાક આતશ પાદશાહ સાહેબની 144મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા એરવદ પરવેઝ કરંજીયા અને એમના દીકરા એરવદ આદિલ કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટી દિનશા વરિયાવા અને અસ્પી સરકારીએ આ પ્રસંગમાં હાજરી આપી હતી. અગિયારીના પંથકી એરવદ પરવેઝ કરંજીયાના મત પ્રમાણે પાક આતશ પાદશાહ સાહેબ અને માઝદયસ્ની  પ્રાર્થનાના પ્રતાપે અગિયારીમાં આવનાર જરથોસ્તીઓની સંખ્યામાં વધારો થયો છે. તથા આપણા ગુજર પામેલા વહાલાઓ પણ પોતાના આશિર્વાદ આપવા આપણી સાથે જોડાય છે. જીજીભોય દાદાભાઈ આમરિયા જે આ જગાના માલિક હતા અને જેમનો વ્યવસાય વાયુમિશ્રિત પાણી  વહેંચવાનો હતો તેથી અગિયારીનું નામ સોડાવોટરવાલા અગિયારી રાખવામાં આવ્યું હતું. એરવદ કરંજીયા છેલ્લા 17 વર્ષથી પંથકી છે. એમણે કહ્યું કે ‘આ દિવસે ફરવર્દીન યસ્ત અથવા અહુનવદ ગાથા અથવા સતુમનો કરદો ઘરે, અગિયારી કે ડુંગરવાડીમાં ભણવા જરૂરી છે. ઉપર આપેલી પ્રાર્થનાથી આપણા ગુજર પામેલા વહાલાઓના આશિર્વાદ મળે છે. એરવદ કરંજીયાએ એ પણ જણાવ્યું હતું કે જરથોસ્તીઓએ દરવર્ષે બે જશન કરવા જરૂરી છે. એક અસ્ફંદામર્દ અમેશાસ્પંદને પૂજવા અને બીજું દાદાર અહુરામઝદાનો આભાર માનવા. એમણે લોકોને સાચા જરથોસ્તી તરીકે તથા હમેશા એકતામાં તથા અનૈતિકતા વગર રહેવા પ્રોત્સાહન આપ્યું હતું. છેલ્લે ચાસની પીરસી કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Leave a Reply

*