મીઠાઈવાલા અગિયારીની 107મી શુભ સાલગ્રેહની ઉજવણી

આદર મહિનો, આદર રોજને તા. 22મી એપ્રિલને દિને સવારે આતશ પાદશાહને માચી અર્પણ થઈ હતી, સાલગ્રેહ પ્રસંગે અગિયારીના મકાનને ફુલ તોરણો ચોકથી શણગારવામાં આવ્યું હતું.

સવારે 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુઝારીનું જાહેર જશન પંથકી એરવદ હોરમઝદ અ. દાદાચાનજીના વડપણ હેઠળ નવ મોબેદ સાહેબોની હમશરીકીથી થયું હતું, ત્યારબાદ હમ-બંદગી થઈ હતી.

સાંજે પાંચ કલાકે સ્ટાફ તરફથી જશનની ક્રિયા થઈ હતી જેમાં ઘણા હમદીનોએ ઉત્સાહભર્યો ભાગ લીધો હતો.

જશન બાદ ભેગી થયેલી મીઝલસ સમક્ષ એરવદ અસ્ફંદીયાર દાદાચાનજીએ આદર મહિનાનું પરબ, આતશ પાદશાહોની કોન્સીક્રેટ કરવાની સમજણ આપી હતી. ઈરાનથી ચાલતો આવેલો આલાતનો સીલસીલો સમજાવ્યો હતો, આપણા વડીલો કેટલી હાડમારી પછી સંજાણ બંદરે આવ્યા, ઈરાનના ખોરાશાનના પ્રાંતથી આલાત (નીરંગ-આવ-વરસ-હોમસલી-આતશકદેહની ભસમ) વિગેરે લાવ્યા, મોબેદ સાહેબોએ નાહાન બરશ્નુમો લીધા અને દસ્તુરજી નૈર્યોસંઘ ધવલ સાહેબના વડપણ હેઠળ 16 આતશો લઈ તેને કોન્સીક્રેટ કરી ઈરાનશાહ આતશ બહેરામની સ્થાપના કરી તેની સમજણ આપી.

ભાષણ કરનારે જાદીરાણા ને યાદ કરતા જણાવ્યું કે તે ભલા જાદીરાણાએ ઘણી ઉમદા મદદ આપણા વડીલોને આપી હતી. ઈરાનશાહની સ્થાપના કોન્સીક્રેટ કરવા માટેનું ફરસંઘ એટલે લગભગ પાંચ માઈલનો એલાયદો એરિયા આપ્યો અને ત્યાં કોઈપણ જુદ્દીન નહી જઈ શકે તેવું ફરમાન કરી આપી એવા ધર્મપ્રેમી, દયાળુ, માયાળુ જાદીરાણાની યાદ હમદીનોને આપી હતી. અથોરનાનોના ત્રણ હોવાની સમજણ એરવદ, મોબેદ, દસ્તુરની સમજણ આપી હતી. માચી ચઢાવવાની સમજણ જણાવી હતી. અને હમદીનોને અપીલ કરી હતી કે તમારી ગુંજાસ મુજબ કાઠી ફંડોમાં મદદ કરતા રહેવું.

ત્યારબાદ એ. દરાયસ કાત્રકે પેગામ્બર જરથુસ્ત્ર સાહેબના જીવનની ઝરમર સમજાવી હમદીનોને તવારીખી બાબદોથી માહિતગાર કર્યા હતા.

ભાષણબાદ માચીમાં હમશરીકી આપી ચાશની કરી સર્વે હમદીનો સધાવ્યા હતા.

Leave a Reply

*