અહુરમજદનું ખોરેહ વધારવાનો એક માર્ગ ફર્માનબરદારી

આપણે કાયદાની બાજુએ ઉભું રહેવાની બાબત બાબે જરા વધારે અહીં બોલીશું. અહુરમજદની નકલ કરવાનો એક માર્ગ ફર્માનબરદારી છે. યાદ રાખવું કે ફર્માનબરદારી તે કાંઈ ગોલામગીરી નથી. ફર્માનદારી કંઈ છુટાપણાને આડે આવતી નથી. ફર્માનબરદારી એટલે કે કાયદા કાનુનોને માન આપી ચાલવું. કુલ કુદરત આપણને તે દાદારનો કાયદો શીખવે છે તે દાદાર પોતે પોતાની હકુમત કાયદા કાનુનોની રૂએ કરે છે. એવી ફર્માનબરદારી પોતા સાથે ઘણા સદગુણો લાવે છે. તેમાંનો એક સદગુણ નમ્રતા છે.
બેન્દીકટાઈન વર્ગના જે સાધુ સમાન ધર્મગુરૂઓ છે તેઓને માટે કહે છે કે તેઓમાં ફર્માનબરદારીનો સદગુણ બહુ ખિલવેલો હોય છે. તે સદગુણ નમ્રતા શીખવે છે. તે સબબે તેઓમાં એક કાનુન છે કે જેબી કોઈ, કોઈ ઓધ્ધા પછી મોટા કેનાના ઉપર આવે તેણે સઘળાઓને પગે પડવું. એ તાબેદારી, આપણા શબ્દોમાં બોલીએ તો, સરોશની એ સૃષ્ટિ, એવી મતલબ દેખાડે છે કે તે જે ઓધ્ધો ભોગવે છે તે આજુબાજુના ભલાં માટે છે. જેઓ તાબે થાય અને જેઓ તાબેદારી મેળવે, તે બેઉએ એક નેમ રાખવી જોઈએ તો આ કે તેઓએ પોતાના ભલાં કરતા ભાઈબંધોના ભલાંને પહેલે પસંદ કરવું.
અહુરમજદ સાથના સંબંધનું બીજું સાધન
જરથોસ્તી ધર્મની એક ખાસ શિખવણી ઉદ્યોગ
અહુરમજદ સાથનો સંબંધ જેથી આપણ તેનું ખોરેહ વધારી શકીએ તે માટેનું બીજું સાધન ઉદ્યોગ છે. ડો. ઉવેસ્ટ મોર્ક નામનો એક વિદ્વાન પોતાના એક પુસ્તકમાં, ઉદ્યોગ બાબેના વિષયમાં વાજબી રીતે કહે છે કે જરથોસ્તી ધર્મની એક લક્ષણસુચક ખુબી ઉદ્યોગની પીછાન છે તે કહે છે કે એક ખરા જરથોસ્તીએ ઉદ્યોગી, ચપળ અને ચંચળ રહેવું જોઈએ. ઉંઘ માણસની તંદોરસ્તી માટે જરૂરની છે પણ જ્યારે પણ તે જરૂરિયાત ઉપરાંત લેવામાં આવે ત્યારે તે બુશ્યાંસ દેવની પેદાયશ ગણાય છે.
ઉદ્યોગ નહીં કરનાર બાબે મીનોખેરદ
મીનોખેરદમાં આળસુ માણસ માટે નીચે પ્રમાણે કહે છે.
આળસુ પુરૂષ છે તે સર્વ માણસોમાં નાલાયક કહેવાય છે. કારણ કે દીનમાં જાહેર છે કે દાદાર અહુરમજદે આળસુ માણસ માટે અનાજ પેદા કર્યુ નથી. આળસુ માણસને બક્ષેશ અને આશોદાદ આપવાની નથી તેને માટે રેહવાનું મકાન અને આગતાસ્વાગતા કરવી જરૂર નથી. તેનો સબબ આ કે તે ખોરાક કે જે આળસુ આદમી ખાએ છે તે અનઘટતાપણા અને ગેરવાજબીપણાથી ખાએ છે. તેની આળસાઈને લીધે અને તેનાં ગેરવાજબી રીતે ખાવાને લીધે તેનું શરીર ખરાબ દેખાવનું અને તેનું રવાન દરવન્દ થાય છે.
વંદીદામાં આ સબબે માજદયસ્ની દીનની વૃધ્ધિ તરીકે અનાજની ખેતીને ગણી છે, સબબ કે ખેતી એક ઉદ્યોગ છે અને ઉદ્યોગ દીનદારી વધારે છે.

Leave a Reply

*