માણસે અખત્યાર કરવો જોઈતો કાયદો

આપણ માણસજાતે પણ કુદરતનાં પ્રગટીકરણનો એ કાયદો ધ્યાનમાં રાખી અમલ કરવાનો છે. આપણામાં જે ભલુ હશે તે બાકી રહી બીજાં વધુ ભલાને જન્મ આપશે માટે આપણા ભલા સદગુણો ખીલવી તેઓને વધારે ભલા સર્વથી ભલા બનાવવા જોઈએ. બીજાઓને પણ એમ ભલા બનવાને આપણે મદદ કરવી જોઈએ.
લાયક રીતે પ્રગટી નીકળવા કાજેનો એક સદગુણ ઉદ્યોગ
જયારે અહુરમજદની પેદાયશમાં આપણે ઉપર મુજબ જોઈએ છીએ કે ભલી, પેદાયશ પ્રગટી નીકળે છે અને એમ પ્રગટી નીકળવાનાં કામમાં આપણે બધે ચપળતા જોઈએ છીએ ત્યારે આપણ માણસજાતે આપણા સદગુણો ખિલવવા કાજે ચપળતા અખત્યાર કરવી જોઈએ. એ ચપળતા ઉદ્યોગ અને ઉદ્યોગથી જ પ્રાપ્ત થાય છે.
અહુરમજદનું ખોરેહ વધારવા કાજે તેની સાથના સંબંધનું ત્રીજુ સાધન મોહોબત
અહુરમજદનું ખોરેહ જીઆદે કરવા કાજે તેની સાથના સંબંધનું જે ત્રીજુ સાધન આપણે અખત્યાર કરવાનું છે તે સર્વ વ્યાપક મોહોબત છે.
આપણા ધર્મ પુસ્તકોમાં તેમ બીજી પ્રજાઓના લખાણોમાં આપણને શિખામણ દેવામાં આવે છે કે આપણે અહુરમજદના જેવા થવું. તે શિખામણ કહેછે કે આપણે ખુદાતાલાની નકલ કરવી. એ નકલ કેમ કરવી? તે નકલ કરવાનો એક માર્ગ આ કે આપણે બીજાઓ તરફ માયા મહેરબાની ભર્યા થવું. એ બાબે એક શાએર કહે છે કે તમો દેવતાઓની ખાસીએત પહોંચવા માંગો છો? માયાળું થઈને તેમની નજદીક પહોંચો. મીથ માયા એ ઉમદા ખવાસની સાચ્ચી નિશાણી છે.
એક દોજખી તવંગર અને બહેશ્તી ગરીબની બહમન યશ્તની વાર્તા
ગરીબને મદદ કરવાના ભલાં કામથી ખુદાનું ખોરેહ વધે છે અને બેહશ્ત મળે છે, તેનો દાખલો આપણને આપણી બહમન યશ્તની એક વાર્તામાં મળે છે. જે વાર્તા બાઈબલમાં વિગતે જણાવી છે.
મેં એક જાણીતા તવંગરને જોયો કે જે શરીરે કદરૂપો હતો અને જેનુ રવાન ભુખુ અને નબળુ દોજખમાં હતું. તે મને બુલંદ મરતબાનો માલુમ પડયો નહીં. મેં એક દર્વિશ જેની પાસે પૈસા હતા નહીં અને જે લાચાર હતો તેને જોયો. તેનું ફર્બેરવાન બેેહશ્તમાં હતું તે મને બુલંદ મરતબાનો દેખાયો.
આ વાર્તાની મતલબ આ કે બેહેશ્ત ભલાઈનો બદલો છે. એક માણસ ગમે તેવો તવંગર હોય પણ તે બીજાઓનું ભલું કરતો નહીં હોય તેના કરતા એક ગરીબ જે પોતાની ગરીબી છતાં આજુબાજુનાંઓ તરફ માયા મહોબત દેખાડી તેઓનું ભલું કરતો હોય તે વધારે ભલો ગણાય છે અને બેહેશ્તનો બુલંદ દરજ્જો પામે છે.
આવી માયા મહેરબાની આપણે આજુબાજુનાઓ તરફ કેમ દર્શાવીએ તે માટેનો એક જગપ્રસિધ્ધ નિયમ ઘણીક પ્રજાઓનાં લખાણોમાં જણાવેલો છે. તે આ છે કે આપણે આડોશીપાડોશીઓ તરફ એટલે આપણી આજુબાજુના માણસ ભાઈબંધો તરફ એવી રીતે વર્તવું કે જેવી રીતે આપણે ઈચ્છીએ કે તેઓ આપણ તરફ વર્તે.
એક સાસાનીઅન દસ્તુર કહે છે કે ‘જે કાંઈ તારે માટે નેક નહી ગણાય તે તું બીજા કોઈને માટે પણ ના કરતો.’
‘જો તું ઈચ્છે કે કોઈથી અપસુખન નહી સાંભળે તો તું કોઈ બીજાને પણ અપસુખન ના કહેતો.
આવા શિખામણના શબ્દો આપણને બીજી કેટલીક પ્રજાઓમાં મળે છે. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મપુસ્તકમાં આ જાણીતા શબ્દો છે કે જેમ તમો ઈચ્છો કે બીજાઓ તમારી સાથે વર્તે તેમ તમો પણ બીજાઓ સાથે વર્તો.’
તમારા પડોશીને તમારા પોતા માફક ચાહો.

Leave a Reply

*