એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીની 18માં મહેરજીરાણાના ગાદીવારસ તરીકે નિમણૂંક કરવામાં આવી

પરંપરા સાથે વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી 17મા મહેરજી રાણાના ઉઠમણા પછી ગાદીવારસની નિમણૂંક કરવામાં આવી હતી. 74 વર્ષના યોજદાથ્રેગર એરવદ કૈખુશરૂ કાવસજી રાવજી નવસારીના ભાગરસાથ અંજુમન દ્વારા 18માં વારસદાર તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. એરવદ મહેરનોશ સોરાબજી માદને એમની વધુ જાણકારી આપતા તેમનો પ્રભાવશાળી બાયોડેટા વાંચ્યો હતો. પ્રથમ શાલ તેમને નવસારીના વડા દેસાઈજી, એરવદ ખુરશેદ હોમી દેસાઈ દ્વારા અર્પણ કરવામાં આવી હતી.
નવસારીના વિવિધ પારસી સંસ્થાઓના નેતાઓ તથા અન્ય મહાનુભાવો તરફથી 29 શાલો નવા વડા દસ્તુરજી સાહેબને અર્પણ કરવામાં આવી હતી. તેઓ ત્રણ દાયકાથી મુંબઈની કામાબાગ અગિયારીમાં પંથકી તરીકે સેવા આપી રહ્યા છે.
8મી ઓક્ટોબર, 1944ના રોજ નવસારીમાં જન્મેલા, વડા દસ્તુરજી કેકી રાવજી નવસારીની વડી દરેમહેર ખાતે નાવર અને મરતાબ તરીકે નિયુક્ત થયા હતા. તેમણે દાદર અથોરનાન મદ્રેસા અને મુંબઈ અંધેરીની એમ. એફ. કામા અથોરનાન ઇન્સ્ટિટ્યુટ ખાતે મોબેદીની તાલીમ લીધી હતી. 15 વર્ષની ઉંમરે તેઓ એક લાયક ધર્મગુરૂ બન્યા તથા 18 વર્ષની ઉંમરે તેઓ તેમના પિતા એરવદ કાવસ રાવજી અને એરવદ એરચશાહ કરકરીયાના માર્ગદર્શન હેઠળ મોબેદીમાં તાલીમ મેળવી હતી. 19 વર્ષ સુધી તેમણે નવસારી અંજુમનમાં બોયવાલા તરીકે તથા મલેસર બેહદીન અંજુમન અગિયારીમાં પણ તેમના પિતા એરવદ કાવસજી રાવજી સાથે સેવા આપી હતી.
વડાદસ્તુરજી રાવજીએ ભાગરસાથ અંજુમનનો અને બધા હમદીનોનો આભાર માન્યો હતો. નવા દસ્તુરજીના નેજા હેઠળ હમબંદગી કરી કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Leave a Reply

*