બેજનની બાનુ મનીજેહ

તેનું માથું કાન અને પુછડી બેજનના શબરંગ ઘોડા જેવી હતી. તેની ગર્દન સિંહના જેવી હતી અને તેની દોડવાની ઝડપ પવનના જેવી હતી. તું કહેશે કે રખશની ઓલાદનું તે જાનવર હતું. તે ગુરખર બીજનની સામે આવ્યું અને બેજનને તેને પકડવા તેની ઉપર કમન્દ નાખી. કમન્દ નાખતા તે ગુરખર નાસવા લાગ્યું અને બેજન તેની પછવાડે દોડયો તે ગુરખરના દોડવાથી અને તેની પાછળ બેજનના દોડવાથી મેદાનમાં ધૂળારૂ થઈ રહ્યું. જમીન દરિયાની માફક જોશમાં આવી અને તે ગોરખર નાસી ગયું. બેજન તેની પુંઠે ગયો.
હું પછી તેઓ પાછળ ગયો પણ મને બેજનનો કશો પત્તો મળ્યો નહીં. પણ આ તેનો જીવ વગરનો ઘોડો મારે હાથ લાગ્યો અને મને ગુમાન આવ્યું કે એ ગોરખર કદાચ સફેદ દેવ એ રૂપે આવ્યો હશે.’ આ બધી ખોટી ખોટી વાત ગુર્ગીને કહી, પણ તેના ચેહરા ઉપરથી ગેવને લાગ્યું તે ફગલાઈ ગયો હતો અને તેનું પાપ તેના મોહ પર બોલતું હતું.
ગેવના મનમાં આવ્યું કે તે એકદમ ગુર્ગીનને મારી નાખેલ, પણ તેણે પોતાના ગુસ્સા પર કાબુ રાખ્યો અને વિચાર કીધો કે ‘એને હું પાદશાહ કેખુશરો આગળ લઈ જાઉં કે પાદશાહની પોતાની પણ તેના માટે ખાતરી થાય.’ એમ ધારી ગુર્ગીનની ઉપર ફીટકાર નાખી તે તેને પાદશાહ આગળ લઈ આવ્યો. તેણે રડતી આંખે પાદશાહ સાથે વાત કરી.
ગેવના સખુનો સાંભળી પાદશાહે તેને પુછયું કે ગુર્ગીન શું ખુલાસો કરે છે? ત્યારે ગેવે ગુર્ગીને જે કહ્યું હતું તે જણાવ્યું પાદશાહે તેને દિલાસો આપ્યો કે ‘તું ફિકરના કર. તારો બેટો જીવતો છે. હું થોડા વખતમાં તુરાન પર સીઆવક્ષના કિનામાં હુમલો કરવા માંગું છું. તે વખતે બેજનની આપણને ખબર મળશે અને તે આપણી સાથે દુશ્મન સામે લડવા આવશે.’
ત્યાર પછી ગુર્ગીન ધ્રુજતો અને બીહતો પાદશાહની દરબારમાં આવ્યો. પાદશાહે તેનાથી બેજનની હકીકત જાણવા માંગી. તે ફીકો પડી ગયો અને ધ્રુજવા લાગ્યો અને જંગલ અને ભૂંડો માટે તરેહવાર ખોટી વાતો કહેવા લાગ્યો તે પરથી પાદશાહ પામી ગયો કે એ સઘળુ ખોટું બોલે છે. તેણે તેને બહુ ઠપકો આપ્યો અને પછી લુહારોને તેડાવી તેના હાથમાં બેડી ઠોકાવી પછી ગેવને દિલાસો દઈ કહ્યું કે ‘તું સઘળે ઠેકાણે બેજન માટે ખોળ કરાવ. પણ જો તેનો પત્તો નહીં મલે, તો તું ફર્વર્દીન મહિના સુધી થોભ. જ્યારે બહારની મોસમની શરૂઆત થશે, ત્યારે તે વખતે હું ખોદાતાલાની બંદગી કરી મારી જેહાનુમા જામમાં જોઈશ કે બેજન કયાં છે? તેમાં તે મને માલમ પડયા વગર નહીં રહે.’
ત્યાર પછી ગેવે આજુબાજુ ઘણી પણ ખબર કઢાવી પણ બેજનનો પત્તો મળ્યો નહીં. એટલામાં નોરોજનો દિવસ આવ્યો અને તે દિવસે પાદશાહે બંદગી કરી ખોદાતાલાને યાદ કીધો. પછી પેલી જામમાં નજર કીધી. તેણે સઘળા સાતે કેશ્વરોમાં તે જામ મારફતે જોયું તો છેવટે બેજનને કેર્ગસાસ લોકોના મુલકમાં જોયો, જ્યાં તે ભારી જંજીરમાં એક ગારમાં બંધ પડયો હતો અને દુખથી છુટવા માગતો હતો, અને તેની પાસે પાદશાહી ખાનદાનની એક ખુબસુરત છોકરી તેની સેવામાં ઉભેલી હતી.
પાદશાહે ગેવને એ ખબર કહી અને તેને કહ્યું કે ‘તે બંદમાં છે, તેથી તું દિલગીરના થા, પણ ખુશી થા, કાંઈ નહીં તો તે હૈયાત છે અને એક જવાન ખુબસુરત સ્ત્રી તેની સેવામાં છે. અલબત્તાં તે ઘણો દુ:ખમાં તો છે અને તે દુ:ખથી કંટાળી મોત માંગે છે. હવે એ સંકટમાંથી તેને કોણ છોડવી શકશે? હું ધારૂં છું કે રૂસ્તમ તેમ કરશે. તું મારૂં નામું લઈ સીસ્તાનજા અને તેને મારી પાસે તેડી લાવ.’ (ક્રમશ)

Leave a Reply

*