વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણાનું દુ:ખદ નિધન

4થી જૂન 2019ને દિને ધર્મનિષ્ઠ, વહાલા, જ્ઞાની ભાગરસાથ અંજુમનના 17માં મહેરજીરાણાના દુ:ખદ નિધનથી સમગ્ર પારસી સમુદાય શોકમાં છે. 16મી જાન્યુઆરી 1927ને દિને જન્મેલા વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણા નવસારીની ડી.એન. મહેતા હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે નિધન પામ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ નવસારીના ડબલ્યુઝેડઓ સિનિયર સિટીઝન સેન્ટરમાં રહેતા હતા.
નવસારીમાં વડી દરેમહેરમાં નાવર અને મરતાબની તાલિમ પૂર્ણ કર્યા બાદ વડા દસ્તુરજી મહેરજીરાણા વિજ્ઞાન અને કાયદામાં ગ્રેજ્યુએટ હતા. ઐતિહાસિક દસ્તુરજી ગાદીના 17માં વારસદાર, તેઓ સોલિસિટર અને બેન્ક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર લીગલ હતા. જાન્યુઆરી 2010 માં, 83 વર્ષની ઉંમરે, નવસારીમાં 17મા દસ્તુર મહેરજીરાણા તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓએ તેમનું પવિત્ર જીવન જીવ્યું હતું. 4થી જૂને નવસારીની ડુંગરવાડીમાં તેમની પાયદસ્ત થઈ હતી અને ઉઠમણાની ક્રિયા નવસારી આતશબહેરામ તથા મુંબઈની મીઠાઈવાલા અગિયારીમાં તા. 5મી જૂને કરવામાં આવી હતી.

Leave a Reply

*