કોઈના વિશે જજમેન્ટ લેતા પહેલા સો વાર વિચારો 

એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા.

સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.

થોડીવારમાં સમુદ્રમાંથી બચાવો બચાવો ની બુમો સંભળાઇ. સંતે જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે.

પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તેમ નહોતા.

સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.

થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.

સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ?

એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછયુ: ભાઇ તું કોણ છે અને અહીં શું કરે છે?

પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારીનો ધંધો કરૂ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.

મારી માં મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં પાણી ભરીને લાવી હતી.

ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી માં ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!

કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય, એની એક બીજી બાજુ પણ હોય.

Leave a Reply

*