કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે શાહજાદાએ જવાબ દીધો કે ખોદાવંદ! મેં જેમ તમોને આગળ કહ્યું તેમ ‘માહેતમ મહેલ’માં એક ગુંબજવાળી ઘોરમાં તેને રાખેલો છે અને જે તરફથી દાખલ થવાનો માર્ગ છે તે તરફથી તે ઈમારત તથા કિલ્લા વચ્ચે આવજાવ કરવાનો રસ્તો છે. હું તમને ચોકકસ કહી શકતો નથી કે તે જાદુગર કિલ્લાના કયા ભાગમાં વસે છે પણ દરરોજ સુર્ય ઉગતાં મને માર માર્યા પછી તે કબર આગળ જાય છે. તે પોતાની સાથે હમેશ એક જાતનો શરાબ લાવે છે અને તેથી કરીને તે નાપેકાર સિધી જીવતો રહે છે અને જે વખતથી તે જખમી થયો છે તે વખતથી તેણે જે ચુપકીદી અકથ્યાર કીધી છે તેનો માટે તે સ્ત્રી ઘણી તદબીરો તથા ઉપાય કરવા દરરોજ ત્યાં પોતાનો વખત ગુજારતી હશે.’ મહેલો, મંદીરો, મસ્જીદો, જાહેર મકાનો તથા બજારો એ સંધાને પાયમાલ કરી નાખી ત્યાં એક સરોવર ઉત્પન્ન કરી મેલ્યું છે. અને તમે જોયું હશે કે આ દેશને એક બિયાબાન જંગલ કરી નાખ્યું છે. તમે તે તળાવમાં જે ચાર જુદા જુદા રંગના માછલા જોયા તે ચાર જુદા જુદા ધર્મ પાળનારા લોકોની પ્રજા હતી તે પ્રજામાંથી મુસલમાન લોકોને સફેદ માછલી કરી નાખી, ઈરાની લોકોને લાલ રંગની તથા ક્રિશ્ર્ચિયન લોકોને આસમાની રાતી અને યાહુદી લોકોને પીળા રંગની માછલી કરી નાખી. જે ચાર નાના ડુંગરો છે તે ચાર ટાપુ હતા અને તે ઉપરથી કાળા ટાપુનું નામ અવ્વલ મળ્યું હતું. તે જાદુગરણીએ સઘળી બિના મને પોતાના ગુસ્સાના બાહરમાં કહી હતી. પણ તેણીનો ગુસ્સો હ્યાંજ અટકતો નથી. મારા રાજપાટનો નાશ કરવામાંજ તેનું વેર ઘરાયું નથી કારણ કે દરરોજ મારી પાસે આવી ગોધાના ચામડાના ચાબુકથી સો સો ફટકા મારા શરીર પર તે મારે છે અને દરેક ફટકા એટલા તો જોરથી મારે છે કે તેથી ચામડીમાંથી લોહી ખેંચી કાઢે છે. એટલી સખત સજા કરી રહ્યા પછી બાળ સાથનું હલકુ બકરાનું ચામડુ તે મારા શરીર પર ઢાકે છે અને તેની ઉપર કિંમતી સોનેરી કસબનો ઝભો નાખે છે જે મને આબરૂ આપવા માટે નહીં પણ મને ખિજવવાને માટે કરે છે.’
તે કાળા ટાપુનો જવાન રાજા એટલું બોલ્યા પછી આંખમાં આંસુ લાવી રોવા લાગ્યો તેથી સુલતાનનું દિલ એટલું તો દુ:ખાયું હતું કે તેને તે કાંઈ પણ દિલાસો આપી શકયો નહીં. ત્યારબાદ તે જવાન શાહજાદો આસમાન તરફ પોતાની આંખો કરી બોલ્યો કે ‘સર્વ ચીજોનો બળવંત પેદા કરનાર! તારા હુકમને તથા તારા તમામ કામને હું શરણ થાઉં છું. જ્યારે તું સાહેબની મરજી છે ત્યારે હું મારી પર પડતું દરેક દુ:ખ ધીરજથી ખમું છું. તો પણ હું ઉમેદ રાખું છું કે તેનો બદલો કોઈબી દિન તારી બેહદ મહેરબાનીથી મને મળી જશે. આ અરચતી ભરેલી હકીકત સાંભળીને તે સુલતાનને ઘણુંજ લાગ્યું અને તે કમનસીબ રાજા ઉપર પડેલી જફાનું વેર લેવા તે આતુર થયો.
(ક્રમશ)

Leave a Reply

*