દિવાળી છે પાંચ દિવસનો તહેવાર: શું છે આ પાંચ દિવસોનું મહત્વ

દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિના પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે. દરરોજનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ પાંચ દિવસીય જગમગાતા તહેવારની વિશેષતાઓ..
કાર્તિક કૃષ્ણ ધનવન્તરી જયંતિ
આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ચિકિત્સક ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરે છે. પુરાણોમાં જણાવ્યા મુજબ સમુદ્ર મંથનના સમયે ધન્વંતરે સફેદ અમૃત કળશ લઈને અવતરિત થયા હતા. ધનતેરસની સાંજે યમરાજ માટે દીપદાન કરવુ જોઈએ. જેનાથી અકાળ મૃત્યુનો નાશ થાય છે. લોકો ધનતેરસના રોજ નવા વાસણો પણ ખરીદે છે અને ધનની પૂજા પણ કરે છે.
કાર્તિક કૃષ્ણ ચતુર્દશી
આને નરક ચતુર્દશી કે કાળી ચૌદસ, રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે નરકથી ભયભીત થનારા મનુષ્યોએ ચંદ્રોદયના સમયે સ્નાન કરવુ જોઈએ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. જે કાળી ચૌદસની વહેલી સવારે તેલ માલિશ કરી સ્નાન કરે છે અને રૂપ નિખારે છે તેને યમલોકના દર્શન નથી કરવા પડતા. લોકો નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવે છે.
કાર્તિક કૃષ્ણ અમાસ
આને દિવાળી કહેવાય છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સાથે જ કુબેરની પૂજા પણ કરવામાં આવે છે. શુભ મુર્હુતમાં લક્ષ્મીજીનો ફોટો, સિક્કો અથવા શ્રીયંત્ર, ધાણી, પતાશા, દીપક, શેરડી, કમળનું ફૂલ, મોસમી ફળ વગેરે પૂજનની સામગ્રી ખરીદવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીને નૈવેધ હેતુ પકવાન બનાવવામાં આવે છે. શુભ મુર્હુત ગોધૂલિ બેલા અથવા સિંહ લગ્નમાં લક્ષ્મીના વૈદિક કે પૌરાણિક મંત્રોથી પૂજા કરવામાં આવે છે. શરૂઆતમાં ગણેશ, અંબિકા, કળશ, નવગ્રહ પૂજનની સાથે જ લક્ષ્મી પૂજાનુ વિધાન હોય છે. લક્ષ્મીની સાથે જ ચોપડા, ધનપેટી, લોકર, તુલા, માન વગેરેમાં સ્વસ્તિક બનાવીને પૂજન કરવુ જોઈએ. પૂજા પછી દીપકને દેવસ્થાન, ગૃહદેવતા, તુલસી, જળાશય, આંગણની આસપાસ સુરક્ષિત સ્થાન, ગૌશાળા વગેરે મંગળ સ્થાન પર લગાવીને દિવાળી ઉજવાય છે. ઘર આંગણે આતિશબાજી કરી લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે.
કાર્તિક શુક્લ બલિપ્રતિપ્રદા,
દીવાળી-પાડવા
આને ગોવર્ધન પૂજા કે અન્નકૂટ મહોત્સવના રૂપમાં ઓળખવામાં આવે છે. આજના દિવસે ગાય-વાછરડાં અને બળદની પૂજા કરવામાં આવે છે. ગાય વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટીએ નવા વર્ષની શરૂઆત થાય છે. લોકો એકબીજાને મીઠુ સબરસના રૂપમાં આપે છે. જેનો મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની શુભેચ્છા પાઠવે છે.
કાર્તિક શુક્લ બીજ/ભાઈબીજ
આ યમ દ્વિતીયા કે ભાઈબીજના નામે પણ ઓળખાય છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. યમુના કિનારે રહેનારા લોકોએ યમુનામાં સ્નાન કરે છે. આ દિવસે યમુનાએ યમને પોતાના ઘરે ભોજન કરવા બોલાવ્યા હતા, તેથી તેને યમદ્વિતીયા કહેવાય છે. આ દિવસે ભાઈઓએ ઘરે ભોજન ન કરવુ જોઈએ. તેમણે પોતાની બહેન, કાકા કે માસીની પુત્રી, મિત્રની બહેનને ત્યા પ્રેમથી ભોજન કરવુ જોઈએ. આનાથી કલ્યાણ થાય છે. ભાઈએ વસ્ત્ર, દ્રવ્ય વગેરેથી બહેનનો સત્કાર કરવો જોઈએ. સાંજે દીપદાન કરવું જોઈએ.

Leave a Reply

*