કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે બોલ્યો કે નમને કહે કે આ દગલબાજ જાદુગરણી કયાં રહે છે? તથા તેનો નામેકાર યાર, જેને તેના મરણની આગમચથી કબરમાં નાખી રાખ્યો છે તે પણ કયા છે? તે શાહજાદાએ જવાબ દીધો કે ખોદાવંદ! મેં જેમ તમોને આગળ કહ્યું તેમ માહેતમ મહેલમાં એક ગુંબજવાળી ઘોરમાં તેને રાખેલો છે અને જે તરફથી દાખલ થવાનો માર્ગ છે તે તરફથી તે ઈમારત તથા કિલ્લા વચ્ચે આવજાવ કરવાનો રસ્તો છે. હું તમને ચોકકસ કહી શકતો નથી કે તે જાદુગર કિલ્લાના કયા ભાગમાં વસે છે પણ દરરરોજ સુર્ય ઉગતાં મને માર માર્યા પછી તે કબર આગળ જાય છે. તે પોતાની સાથે હમેશ એક જાતનો શરાબ લાવે છે અને તેથી કરીને તે નાપેકાર સિધી જીવતો રહે છે અને જે વખતથી તે જખમી થયો છે તે વખતથી તેણે જે ચુપકીદી અકથ્યાર કીધી છે તેના માટે તે સ્ત્રી ઘણી તદબીરો તથા ઉપાય કરવા દરરોજ ત્યાં પોતાનો વખત ગુજારતી હશે.
તે સુલતાને જવાબ દીધો જે ‘શાહજાદા! તારી હકીકત ઉપરથી જેટલી માયા તારી તરફ દેખાડવી ઘટે છે તેટલી કોઈ બીજો ઘટતી નથી અને તારા દુ:ખ માટે મને જેટલી દયા આવે છે તેવી કોઈને પણ આવતી હશે નહીં. આ કરતા વધારે અજાયબ જફા કોઈ પણ આદમી ઉપર પડેલી મે સાંભળી નથી. જે લોકો તારી તવારિખનું દાસ્તાન તેઓને માટે આ અચરતી ભરેલી તવારિખ નોંધી રાખવાને ઘણીજ લાયક છે. એકજ બાબત તેને સંપૂર્ણતા આપવાને રહેલી છે અને તે તારૂં વેર લેવું જોઈએ. તે મારી મતલબ પણ પાર પડશે અને તે પાર પાડવાને જેબી માર્ગ લેવો પડશે તે લીધા વિના હું કદી રહેનાર નથી.’
સુલતાને પેલા શાહજાદાને પોતાનું નામ તથા પદવી જાહેર કીધા પછી અને તે કિલ્લામાં દાખલ થવાનો સબબ કહ્યા બાદ તેનો વાજબી કીનો લેવાની સારામાં સારી રીત શોધી કાઢવા વિશે તેઓ મનસુબો કરવા લાગ્યા. સુલતાનને એક તદબીર નજર આવી, જે તેજ વેળા તેણે શાહજાદાને કહી. આ કામ ફત્તેહમંદ કરવા માટે જે જે ગોઠવણ કરવી હતી તે વિશે તેઓ એકમત થયા, તે ગોઠવણ બીજે દિવસે પાર પાડવાનો ઠરાવ તેઓએ રાખ્યો. એ દરમ્યાનમાં રાત પડી ગયાથી સુલતાને આરામ લેવાને દરૂસ્ત ધારયું તે જવાન શાહજાદો આખી રાત સુધી જાગૃત રહ્યો, કારણ કે જે દિવસથી તેની ઉપર જાદુઈની અસર ચલાવ્યામાં આવી હતી તે દિવસથી તેની ઉંઘ જતી રહી હતી પણ તેનું દુ:ખ નિવારણ થશે એવી તેને આશા આવ્યાથી તેનું મન તે વિચારમાં રોકાયું હતું. તેથી તે રાત તેને શાંતિથી પૂરી કીધી.
દિવસ ઉગતાવાર સુલતાન ઉઠયો અને એક ઓરડામાં પોતાનો લેબાશ તથા સાયો છુપાવી રાખી પેલા મહેલ તરફ ગયો. તે ‘માહેતમ મહેલ’ને મોમબત્તીની કેટલીક મશાલોથી સલગાવીને રોશન કીધેલો હતો અને કેટલાક હોરેદોર મુકેલા સોનાના વાસણોમાંથી તરેહવાર ખુશબો નીકળતી હતી.
(ક્રમશ)

Leave a Reply

*