સાધુ અને સયતાન

ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક સયતાન અને એક સાધુની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ.
યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા કર્મો વિષે કંઈ કહેવા માંગો છો? તો તમને તમારી વાત રજૂ કરવાની અનુમતિ છે. આથી તમે જે પણ કંઈ કહેવા માંગતા હોય તે વિના સંકોચે કહેવા માંડો.
સયતાન વિનમ્રતા સાથે કહ્યું કે પ્રભુ હું એક સયતાન હતો. અને મેં આખા જીવન દરમિયાન પાપ જ કર્યા છે. તમે મારા કર્મોનું જ ફળ મને આપશો, તે મને સ્વીકાર્ય રહેશે.
એવી જ રીતે સાધુએ પણ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે મેં આખા જીવન દરમ્યાન તપ કર્યું છે, ભગવાનની ભક્તિ કરી છે, મેં આખા જીવન દરમ્યાન એક પણ ખોટું કામ કર્યું નથી. અને મેં હંમેશા ધર્મ-કર્મનું કામ કર્યું છે. આથી મને સ્વર્ગ મળવું જોઈએ એવી મારી ઈચ્છા છે.
યમરાજે બંનેની વાત સાંભળી અને સયતાનને કહ્યું કે હવે તમે આ સાધુની સેવા કરો આ જ તમારો દંડ છે. અને આ વાત સાંભળીને સયતાન આ કામ માટે તૈયાર થઈ ગયો. પરંતુ આ વાત સાંભળીને સાધુ ક્રોધિત થઈ ગયા, સાધુએ યમરાજને કહ્યું કે મહારાજ આ તો પાપી છે, આની આત્મા અપવિત્ર છે. આ માણસે એના જીવનમાં કોઈ પણ સારું કામ કર્યું નથી. જો એ મને સ્પર્શ કરશે તો મારો પણ ધર્મભ્રષ્ટ થઈ જશે.
આટલું બોલ્યા પછી સાધુની વાત સાંભળીને યમરાજ પણ ક્રોધિત થઈ ગયા, તેને કહ્યું કે જે વ્યક્તિએ જીવનભર લોકોને લૂંટ્યા છે, અને કાયમ પાપ કર્યું છે. તેમજ લોકો પર રાજ કર્યું છે તેની આત્મા આટલી વિનમ્ર થઈ ગઈ છે અને તમારી સેવા કરવા માટે પણ તૈયાર છે.
પરંતુ તમે આખી જીવનભર ભક્તિ અને તપ કર્યું છે છતાં પણ તમારા સ્વભાવમાં અહંકાર છે. મૃત્યુ પછી પણ તમારામાં વિનમ્રતા આવી નથી, આથી આ જ કારણે તમારી તપસ્યા અધુરી છે. હવે તમને હું સજા આપું છું કે તમે આ સયતાનની સેવા કરશો.
આપણે જીવનમાં સારા કામ કરતા રહેવું જોઈએ. જીવનમાં ક્યારે ઘમંડ કરવું જોઈએ નહીં. જે લોકો ઘમંડી હોય છે, ખૂબ જ અહંકારી હોય છે તેની બધી સારી વાતો અને પુણ્ય પણ નષ્ટ થવા લાગે છે. આથી તમે ગમે તે સ્થાન પર પહોંચી જાઓ, તમે ગમે તેટલા સારા કાર્યો કરતા હોય પરંતુ હંમેશા વિનમ્ર રહેવું જોઈએ.

Leave a Reply

*