હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 163માં વરસની ઉજવાયેલી સાલગ્રેહ

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની સરોષ રોજને તા. 31મી ડિસેમ્બરને દિને 163મી શુભ સાલગ્રેહ ઉજવવામાં આવી હતી.

અગિયારીના મકાનને ચોક, તોરણ, હાર, લાઈટો વગેરેથી શણગારવામાં આવ્યું હતું. સવારે હાવનગેહમાં આતશ પાદશાહ સાહેબને માચી અર્પણ કરવામાં આવી હતી.

ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુઝારીનું જશન 14મોબેદ સાહેબોની સામેલગીરી સાથે પંથકી એરવદ અસ્ફંદીયાર રૂ. દાદાચાનજી તેમજ નાયબ પંથકી હોરમઝદની આગેવાની હેઠળ થયું હતું, હમદીનોની મોટી હાજરી ઉપરાંત સર્વે ટ્રસ્ટી સાહેબો હાજર હતા. સાંજે અગિયારીના સ્ટાફ તરફનું જશન નાયબ પંથકી એ. મારેસ્પંદના વડપણ હેઠલ કરવામાં આવ્યું હતું. જશન બાદ હાજર રહેલા હમદીનો સમક્ષ નવસારીના વડા દસ્તુરજી કૈખશરૂ કા. રાવજી મહેરજી રાણા સાહેબે આતશ પાદશાહની ખુશનુદીની ઉપર જાણવાજોગ ભાષણ આપ્યું હતું. હમદીનોને મુબેદ સાહેબોની ઉન્નતિને માટે ધ્યાન આપવા અરજ કરી હતી. ઉપરાંત કાઠી ફંડમાં જરૂરી મદદ કરવા અપીલ કરી હતી.

પંથકી એ. અસ્ફંદીયારે દસ્તુરજીના ભાષણ પછી આતશ બહેરામ પાદશાહને પરથાવવાની ક્રિયા બાબદ વિવેચન કર્યુ હતું.

એરવદ વરઝાવન હો. દાદાચાનજીએ શાહનામાનું કિર્તન સુંદર રાગમાં ગાઈ સંભળાવ્યું હતું. હાજર રહેલા ભાઈ દરાયુસ કાત્રકે ટૂંકુ પણ જાણવા યોગ્ય ભાષણ આપણા બાપદાદાઓની યાદગીરીના ભણતર મુકતાદ રોજગાર ઉપર હમીદીનોને સમજણ આપી હતી.

ભાઈ મરઝબાન વાડયાએ પોતાના સુંદર અવાજમાં મોનાજાત ગાઈ સંભળાવી હતી. છેવટે પંથકી સાહેબે દસ્તુરજી કૈખશરૂનું બહુમાન કરી શોલ અને હાર અર્પણ કર્યા હતા. સર્વે હમદીનો આતશ પાદશાહ સાહેબની દુવા લઈ, ચાશ્ની તેમજ કેકથી મોઢું મીઠું કરી સધાવ્યા હતા.

Leave a Reply

*