દૈવીક આશીર્વાદ માટે પૂછો!

તમારા શરીર અને તમારા મન વિશે વધુ જાણવા માટે એક પવિત્ર જગ્યા બનાવો, તમારી સાથે ડેટ પર જાઓ અને લાગણીઓ, સંવેદના, ઇચ્છાઓ, સ્વપ્નોનું અન્વેષણ કરો અને તમારી જેમ તમારી જાતને સ્વીકારો. પોતાને વધુ સારી રીતે ઓળખવામાં સમય પસાર કરવાથી, તમે જાણશો કે તમારે શું જોઈએ છે અને, તમે જે ઇચ્છો છો તે પૂછવું વધુ સરળ બનશે.
– નિત્યાનંદ દાસ
પ્રાર્થના ખરેખર તે વાતચીત છે જે આપણે અહુરા મઝદા સાથે દરરોજ કરીએ છીએ. જોકે ટૂંકા ગાળા માટે, આપણે તેમની સાથે જોડાવું જોઈએ. આપણે અહુરા મઝદા પાસેથી જે જોઈએ છે તે માગીએ તે સર્વોચ્ચ મહત્વ છે. તેમને પૂછવું માત્ર મહત્વપૂર્ણ નથી, પરંતુ શું પૂછવું તે વધુ મહત્વપૂર્ણ છે. તાજેતરના સમયમાં, હું એક એંજલ જેવી સુંદર સ્ત્રીના સંપર્કમાં આવી હતી. તેણી આપણા મંત્રના તમામ ઉંડા પાસાઓના જાણકાર હતા અને એમના મત પ્રમાણે આજુબાજુ બધા માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભલે તે તેના પોતાના કુટુંબ માટે હોય કે સંપૂર્ણ અજાણી વ્યક્તિ માટે હોય. તેમને વિશ્ર્વાસ છે કે મંત્રમાં ખૂબ એવી શક્તિઓ છે જે આપણા બોલવાથી બહાર નીકળે છે અને તે સતત અનુભવેલા વિવિધ અનુભવોની વાત કરે છે. નીચે તેમની દૈનિક દુઆનું એક સુંદર સંકલન છે, જ્યાં તેઓ દૈવીક આશીર્વાદ માંગે છે. મને લાગે છે કે તે આપણા અસ્તિત્વના તમામ પાસાઓને સમાવિષ્ટ કરે છે અને તે હૃદયસ્પર્શી પ્રાર્થના છે! અને તમારી સાથે શેર કરતા મને ગમશે.
યા પાક દાદાર અહુરામઝદા – મહેરબાની કરીને તમારી ભલી દુઆ ને આશીર્વાદ આપો!
કુલ જેહાનના લોકો ને, મને, મારા વહાલાઓને, બધા સગાવહાલાઓને, મારા બધા મિત્રોને, બધા દુ:ખી દુ:ખ્યારાઓને
તમારી ભલી દુવાઓ ને આશીશ આપીને તન, મન, ધન, માન, પાન, આબરૂ ઈજ્જત, સુખ, પ્રેમ, બંદગીનુ બળ ને તમારા ભરપુર આશીર્વાદથી સુખી સુખીયારા કરજો. સંપ પ્યારથી રાખજો, માન પાન આબરૂ ઈજ્જતથી દિપાવજો ને જીવ્યે ત્યાં સુધી
તમારી પાસબાનીમા તંદોરસ્તી ભરેલા રાખજો.
તમારી ગેબી બસારતો આપી ને તમારૂં માર્ગદર્શન આપીને અમોને બધાને મનશ્ની, ગવશ્ની ને કુનશ્નીની રાહ પર ચલાવજો. પાપથી બચાવજો ને પુણ્યની બાજુ લઈ જજો. વોહુ મનો, વોહુ તનને સવારના વહેલા ઉઠાડજો.
અમને બધાને રજક, રોજી બરકતથી ભરપુર સુખી સુખ્યારા કરજો. બધાને ધમ ધોકાર ધંધા રોજગાર નોકરીયો આપી ને બધાને આગળ વધારજો. ખુબ કામયાબ સારા ઈન્સાન બને ને ફત્તેહમંદ થાય. હજારો ને લાખો લોકોને રોજી રોટી મળે. પુણ્યના કામો કરે ને તમારા આશીર્વાદ મેળવીને સુખી સુખ્યારા થાય ને તમારી પાસબાનીમા તંદોરસ્તી ભરેલા રહે.
મારા બચ્ચાંઓને દુનિયામાં તમામ સુખથી ભરપુર, સુખી સુખ્યારા કરજો ને ખુબ સારા ઈન્સાન બનાવજો. પાપથી બચાવવીને પુણ્યની બાજુ લઈ જજો. ખુબ કામ્યાબ બનાવજો. એ લોકોની સારી મુશ્કેલી આસાન ને મન ને ભરપુર શાંતિ આપજો.
મારા બચ્ચાંઓ દયા સદગુણી ને સારા ઈન્સાન બને. શીખીભણી ને માય બાપના દેશના ને ધર્મના નામ રોશન કરે. બધાજ આપણાં ધર્મમાં માને ને તમારા આશીર્વાદ લઈ ને આપણીજ કોમમાં પરણે ને સુખી સુખ્યારા ને સારા ઈન્સાન બને.
મને જીવનમાં દિન દુની રાત ચોગુની આગળ વધારજો. મને બંદગીનું ઉત્તમ જ્ઞાન આપજો. મારે થકી એટલા પુણ્યના કામ કરાવજો કે હું પુણ્યના ઢગલા કમાઉં. જ્યારે તમારા દરબારમાં આવ ત્યારે પુણ્યના ઢગલા લઈ ને આવ. મહેરબાની કરી ને મનની તંદોરસ્તી, બળ ને બંદગી બક્ષસજો.
હર દુ:ખી દુ:ખ્યારાના દુ:ખને દૂર કરજો. હર કોઈની મુશ્કેલ આસાન કરજો ને દુ:ખથી પીડાતા લોકોની પીડાનો નાશ કરજો. અમારા ઊપરથી દુ:ખ, દર્દ, પિડા, પાપો, બલા બીમારી, નાપાકીઓ, દુશ્મનો અને અમારામાં રહેલા તમામ દુર્ગુણો, જાદુ ટોણા, કજીયા કંકાસ, કરજદારીનો અમારા બધા પરથી નાશ થાય.
અમારી દુઆ ને આમીન કરજે.

About ડેઝી પી. નવદાર

Leave a Reply

*