બાપે દીકરા પાસે ફકત તેનો સમય માંગ્યો!

દારાંએ નવરોઝને પાસે બોલાવ્યો, પાસે બોલાવીને તેની બાજુમાં બેસવાનું કહ્યું.
નવરોઝ મોટો થઇ ચૂક્યો હતો કામ ધંધે પણ ચડી ગયો હતો અને તેના પેઢી દર પેઢીથી ચાલી આવતો ધંધો બહુ સારી રીતે સંભાળી લીધો હતો. નવરોઝ પ્રત્યે દારાંને બીજી કોઈ ફરિયાદ ન હતી પરંતુ નવરોઝ તેને સમય આપતો નહોતો.
એટલે તેને પાસે બોલાવી અને કહયું મારી અંતિમ વિધિ કરવામાં જે સમય લાગશે મારી પાયદસ્ત પછી કાર્ય કરવામાં જે સમય લાગશે તે કાર્યમાંથી હું તને મુક્ત કરી આપું છું.
નવરોઝને થોડું આશ્ર્ચર્ય થયું એટલે તેને તેના બાવાજીને પૂછ્યું કે કેમ તમે આવું કહી રહ્યા છો?
દારાંએ પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું તું મારું બોડી દાન કરી દેજે અને કોઈ ધાર્મિક ક્રિયા નહીં કરતો પરંતુ મારી પાસે થોડો સમય વિતાવ. મારી ધાર્મિક ક્રિયાનો સમય હું બચાવું છું તે સમય તું મને દરરોજ થોડો થોડો આપ. દરરોજ એક કલાક મારી પાસે આવીને ખાલી બેસ.
નવરોઝના મોઢામાં જવાબ આપવા માટે શબ્દો બચ્યા નહોતા.
વાત કડવી છે પ્રમાણિક પણે સ્વીકારવી અઘરી પણ છે પરંતુ એકદમ સાચી વાત છે.
તમે ગમે તેટલા તમારા કામમાં તમારા ઓફિસ વર્કમાં કે પછી કોઇપણ કાર્યમાં વ્યસ્ત હોય તમે જો માત્ર એક થી બે મિનીટ જેટલો સમય કાઢી શકો અને તમારા ઘરે ફોન કરી શકો એ પૂછવા માટે કે માયજ/બાવાજી જમ્યા કે કેમ? દવા લઈ લીધી કે નહીં?
ફોનમાં એટલું કહેશો કે ઘણું કામ છે આજે છતા હું જલ્દી આવવાની ટ્રાય કરીશ, તો માતા-પિતાનો જવાબ તમને એટલો જ મળશે કે બેટા ઉતાવળ ના કરીશ તું નીરાતે આવજે.
અને ઘરે આવીને મોબાઈલ ટીવી વગેરે બધું એક બાજુ પર મૂકીને મમ્મી તેમજ પપ્પા પાસે બેસી અને તેમના ખબર-અંતર પૂછો. તમે આવું કરશો તો તે લોકો જ કહેશે કે બેટા થાકી ગયો હશે જા પહેલા હાથ પગ ધોઈ અને થોડો આરામ કરી લે અથવા પહેલા જમી લેજે.
તમે જો તમારા માતા પિતા એટલે કે તમારા વડીલોને આખા દિવસમાં માત્ર એક કલાક આપશો તો તે લોકોની બીજી 23 કલાક એટલે કે તેઓનો આખો દિવસ સારો વિતશે.
અને હકીકતમાં તેઓની અડધી બીમારી તો દવા વગર જ સારી થઈ શકે.
આ બધું જ્યારે માણસ જીવતું હોય ત્યારેજ કામનું હોય માણસના મૃત્યુ પછી તેના ફોટા આપળ પછતાવો કરવો કે છાપામાં જાહેરાત આપી દેવી કે ફૂલ ગયું ફોરમ રહી ગઈ આવું કરવાથી લાગણી સમજાવવાની નથી.
તમારા પિતાને કે તમારા વડીલોને નાનું કામ પણ કરવું છે તો તેમને હંમેશા મદદરૂપ થવાની કોશિશ કરવી, જેમ કે પિતાને અહીંથી સામેની બાજુ રસ્તાએ જવું હોય અને તમે એકદમ કામ વગર નવરા બેઠા હોય તો નોકરને કહેવાને બદલે પોતે જ ઊભો થઈને પિતાને રસ્તો ઓળંગવામાં મદદરૂપ થવું જોઈએ.
નોકર તમારે ત્યાં નોકરી કરે છે એટલે તેને તમે કહેવાના એટલે સ્વાભાવિક વાત છે કે તે રસ્તો ઓળંગવામાં પિતાજીની મદદ કરશે પરંતુ એ વાત મગજના ખૂણે ફીટ કરી દેવી કે તમારા પિતાને નોકરના સ્પર્શમાં દીકરાના સ્પર્શનો આનંદ તેમજ સંતોષ મળવાનો નથી. અને એવું પણ બને કે જો તમે ઉભા થાઓ તો તમારા પિતા જ કહેશે કે તું બેસ તારું કામ કર મને રસ્તો ઓળંગવામાં આપણો રામો મદદ કરશે.
શું તમે જિંદગીમાં કોઈ વખત
માતા-પિતાને તેની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છાની છુપેથી લઈને તેઓને સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપી છે? આ વરસે ફાધર્સ ડે પર નકકી કરી જોજો!

Leave a Reply

*