સારા સમયની શરૂઆત: એક ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણ

અત્યારની પરિસ્થિતિ પર હું ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણથી થોડો પ્રકાશ પાડવા માગું છું. વાયરસ, પેન્ડેમિક અથવા કોઈપણ પ્રકારનું દરદ કે બીમારી પરવરદિગાર તરફથી આવતી નથી. પરવરદિગાર શ્રેષ્ઠ છે અને આથી, તેમના તરફથી હંમેશાં માત્ર સારું અને શ્રેષ્ઠ જ આવી શકે છે. અનિષ્ટ કે ખરાબ પરવરદિગારની બહારની સત્તા તરફથી આવે છે, જેનું નામ છે અહરિમન.
આપણે કોને વધુ સત્તા-શક્તિ આપીએ છીએ એનો આધાર આપણા પર હોય છે. એક સાચા ઝોરાષ્ટ્રિયનની જેમ આપણા દિનના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવીએ – સ્વચ્છતાના નિયમો પાળીએ, ખુદને અંદરથી તેમ જ બહારથી સાફ-પાક રાખીએ, અને આશા – પ્રમાણિકતા, સચ્ચાઈ અને નિયમના માર્ગ પર ચાલીએ તો આપણે પરવરદિગારને વધુ શક્તિશાળી બનાવીએ છીએ. બીજી તરફ, આપણે આપણા પોતાના દિનના સિદ્ધાંતો નહીં પાળીએ અને પોતાને અંદરથી તેમ જ બહારથી પાક-સાફ નહીં રાખીએ, તો આપણે અહરિમન – અનિષ્ટ શક્તિને વધુ શક્તિશાળી બનાવીએ છીએ.
આ પેન્ડેમિક એવી પરિસ્થિતિ છે, જે આ પહેલા માણસ જાતે ક્યારેય અનુભવી નથી. આથી, આ વર્ષે મુક્તાદ અગાઉના વર્ષોથી સાવ અલગ હતી. છઠ્ઠી ઓગસ્ટ, 2020થી મુક્તાદના પવિત્ર દિવસો શરૂ થયા હતા, આ સમયગાળામાં આપણા ફ્રવશી/ફરોહર – આધ્યાત્મિક જીવો આપણા ભૌતિક વિશ્ર્વની મુલાકાત લઈ આપણને આશીર્વાદ આપે છે અને આ જેહાનને સાફ કરી તેને નવું રૂપ આપે છે. આ જીવો પડદાની પાછળથી કામ કરે છે અને આપણી લડાઈ લડે છે. આમ, આપણને આગળ વધવા માટે તૈયાર કરે છે.
આથી, આ સાલ, મારું માનવું છે કે આ પવિત્ર દિવસો દરમિયાન કોસ્મિક યુદ્ધ થશે; અને જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે સૌ કોઈ માટે પડકારરૂપ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે જ, આ સમયગાળા દરમિયાન આપણે સૌ શુદ્ધતા-પવિત્રતા અને જાગરૂકતાના સર્વોચ્ચ સ્તરે હોઈએ, આપણું તથા આપણા પર્યાવરણનું ધ્યાન રાખીએ, સ્વચ્છતાના નિયમો પાળીએ વગેરે બાબતો જરૂરી બની જાય છે. કમ સે કમ ત્રીજી સપ્ટેમ્બર, ફરવરદિન માહ, ફરવરદિન રોજ – જે દિવસ ફરોહરને સમર્પિત છે – સુધી આપણે વધારાની સાવચેતી અને તકેદારી રાખવી જોઈએ.
આ દિવસની શરૂઆત – ત્રીજી સપ્ટેમ્બર, 2020થી થશે મને લાગે છે કે જહાન માટે સારા સમય અને સાજા થવા તરફ આગળ વધવાની શરુઆત આપણે જોઈ શકશું. 15મી સપ્ટેમ્બર, હોરમઝદ રોજ, અર્દીબહેસ્ત માહ – જ્ઞાનના દિવસે – મને પૂરો વિશ્ર્વાસ છે કે આપણે વધુ સુધારણાનો અનુભવ કરશું, કેમ કે હોરમઝદ અને અર્દીબહેસ્ત દરેક પ્રકારના દુ:ખ-કષ્ટ-પીડા દૂર કરવા માટે જવાબદાર હોય છે. છેલ્લે ગોશ રોજ, અર્દીબહેસ્ત માહ, જે સપ્ટેમ્બર 28મીએ આવે છે, મને પૂરેપૂરી ખાતરી છે કે આપણી દુનિયામાં બહુ મોટું સકારાત્મક પરિવર્તન આવશે.

About એરવદ ઝરીર ભંડારા

Leave a Reply

*