નિષ્ફળતા એ સફળતાનો જ એક ભાગ છે!

એક માણસ હતો, તે તેના જિંદગીમાં ખૂબ દુ:ખી હતો. નોકરી પણ સારી ન હતી, પરિવારનું ભરણપોષણ કરવા માટે નોકરી પણ તે મજબૂરીમાં કરતો હતો, આ સિવાય પોતાની પાસે બચત ન હોવાને કારણે કાયમ દુ:ખી દુ:ખી રહેતો. અને મહિનાના અંતે જે પગાર આવતો તે બધો ઘર ખર્ચમાં જ વપરાઈ જતો, અને પોતાના કોઈ શોખ પૂરા કરી શકતો નહીં.
આખરે થોડા સમય પછી એને થોડી બચત કરી અને થોડા રૂપિયા ભેગા કર્યા પરંતુ તે નવો ધંધો ચાલુ કરવા માટે બહુ ડરતો હતો. કે જો તે નવો ધંધો ચાલુ કરશે અને એમાં નિષ્ફળ જશે તો, ફરી પાછું આટલી બચત કરવા માટે કેટલા વર્ષો વીતી જશે. અને ત્યાં સુધી પરિવારનું ભરણપોષણ કોણ કરશે વગેરે જેવા સવાલો એને સતાવતા હતા.
એક દિવસની વાત છે આ માણસ પોતાની નોકરી કરવા માટેની જગ્યા પર જઈ રહ્યો હતો, ત્યારે એને રસ્તામાં વચ્ચે એક હાથી ને જોયો. આટલો કદાવર હાથી એણેે એની જિંદગીમાં ક્યારેય જોયો નહોતો, આથી થોડીવાર માટે તે ત્યાં જોવા માટે ઊભો રહી ગયો.
થોડીવાર પછી એનું ધ્યાન પડ્યું કે હાથીના પગ માં એક સામાન્ય દોરી બાંધેલી હતી, અને પાછળ એક માણસ આ દોરી પકડીને જઈ રહ્યો હતો. એ એને જોઇને એવું લાગી રહ્યું હતું કે તે માણસે હાથી ને ટ્રેન કર્યો હશે.
પરંતુ એના મનમાં એક વિચાર સ્ફૂર્યો કે હાથી કદાવર પ્રાણી છે અને તે ઇચ્છે તો માણસને પણ ઉડાડીને ક્યાંના ક્યાં ફેકી દે પરંતુ આ નાનકડી એવી દોરી હાથી કેમ તોડી નથી દેતો? એને ઘણું વિચાર્યું પણ સમજાયું નહિ એટલે તે પેલા ભાઈ પાસે ગયો અને પૂછ્યું કે હાથીને આટલી નાનકડી દોરી બાંધી છે છતાં તે તોડી ને કેમ નથી જઈ રહ્યો?
ત્યારે પેલા માણસે જવાબ આપ્યો કે હાથી જ્યારે ઉંમરમાં નાનો હોય ત્યારે તેના પગમાં આવી દોરી બાંધવામાં આવે છે. તે ઘણી વખત એ દોરી ને તોડી ને ભાગવાની કોશિશ કરે છે, પરંતુ થોડી મજબૂત દોરી બાંધી દઈએ એટલે તે તોડી શકતો નથી. અને પછી તે તેના મનમાં એમ જ માની લે છે કે મારાથી આ દોરી તૂટી શકે તેમ નથી. આથી હું ક્યાંય ભાગી નહી શકું.
આટલું સાંભળીને પેલા માણસના મનમાં ચમકારો થાય છે કે માણસો સાથે પણ હાથી જેવું જ થાય છે. કારણ કે માણસને પણ નાનપણથી જ અમુક વસ્તુઓ અને અમુક માન્યતાઓના બોજ પર ધકેલી દેવામાં આવે છે, કે માણસ આ ન કરી શકે. માણસે આ ન કરવું જોઈએ.
પરંતુ જરૂર છે ખાલી માન્યતા તોડવાની, માણસ ધારે તો કશું પણ અશક્ય નથી. અને આપણે એક પ્રયત્ન કર્યા પછી કોઈપણ કામ કરવાનું છોડી દઈએ એ કેટલી હદે વ્યાજબી છે તે આપણે જ વિચારવું પડશે. કારણકે જો આપણે પાછો બીજી વખત પ્રયત્ન નહીં કરીએ તો હાથીની જેમ સીમિત દુનિયામાં જ જીવવું પડશે.
જો આપણે માન્યતા છોડીએ, અને માન્યે કે નિષ્ફળતા એ સફળતા નો જ એક ભાગ છે. તો જીંદગીમાં આપણને સફળ થતા કોઇ રોકી નહીં શકે, ઈંગ્લીશમાં પણ કહેવાય છે કે નેવર ગિવ અપ, એટલે કે કોઈ દિવસ મુશ્કેલીઓથી ભાગવું નહીં, મુશ્કેલીઓ નો સામનો કરવો જોઈએ. સફળતા એક દિવસમાં નથી મલતી પણ કોશિશ કરશો તો એક દિવસ જરૂર મળશે!

Leave a Reply

*