કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો આપણો ભારત દેશ?

1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ બ્રિટિશરોની ઘૂસણખોરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો.
જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન સાથે કલાકો સુધી ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં માઉન્ટબેટને 15મી ઓગસ્ટ પસંદ કરવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. જ્યારે હિંદને આઝાદ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો એ સમયે ભારતના નેતાઓ સાથેની એક બેઠક બાદ માઉન્ટબેટન પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા.
આ સમયે એક પત્રકારે ભારતને કઈ તારીખે આઝાદ કરવામાં આવશે એવો સવાલ પૂછયો હતો, એ વખતે માઉન્ટબેટને આ વિશે કશું જ વિચાર્યું ન હતું પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્ર્વયુદ્ધના છેલ્લા તબક્કામાં જાપાને 15મી ઓગસ્ટના રોજ બ્રિટનના નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, આ વાત માઉન્ટબેટનને યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને 15મી ઓગસ્ટ તારીખ કહી દીધી હતી. અને આ રીતે ભારતનો સ્વતંત્રતા દિવસ નક્કી થયો હતો, જો કે એ સમયે દેશના જ્યોતિષોએ આ તારીખને ભારે અપશુકનિયાળ ગણાવીને આ દિવસે ભારતને આઝાદ નહીં કરવાની સલાહ આપી હતી, જો કે આવી વાતોમાં નહીં માનતા નેહરૂએ આ ચેતવણીને ગણકારી ન હતી.
માત્ર આપણે જ નહીં અન્ય ચાર દેશો પણ 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ મનાવે છે. આ દેશો છે સાઉથ કોરિયા, બહેરીન અને રિપબ્લિક ઓફ કોંગો. સાઉથ કોરિયા 15 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનથી આઝાદ થયો હતો, બહેરીન 1971ની આ તારીખે બ્રિટનથી આઝાદ થયું હતો જ્યારે કોંગોએ 1960માં આ તારીખે ફ્રાન્સથી આઝાદી મેળવી હતી તો લૈચટેંસ્ટેઇન 1866માં જર્મનીમાંથી આઝાદ થયો હતો.
15 ઓગસ્ટ, 1947ના એ દિવસે જ્યારે આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આઝાદીની લડતમાં સિંહફાળો આપનાર મહાત્મા ગાંધી ઉજવણીથી દૂર પશ્ચિમ બંગાળના એક ગામમાં ઉપવાસ કરી રહ્યા હતા, તેઓ હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના લોહિયાળ કોમી રમખાણોના વિરોધમાં ઉપવાસ કરી રહ્યા હતા.
બ્રિટિશ શાસનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને આઝાદી દિનની કરાંચી અને નવી દિલ્હી બન્ને સ્થળે થનાર ઉજવણીમાં ભાગ લેવો પડે એમ હતો, અને બન્ને સ્થળે એક જ દિવસે હાજર રહી શકાય એમ નહીં હોવાથી કરાંચીમાં આગલા દિવસે એટલે કે 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો, બસ ત્યારથી જ પાકિસ્તાન દર વર્ષે 14મી ઓગસ્ટે આઝાદી દિન મનાવે છે.

Leave a Reply

*