નાના હતા ત્યારે બા બધા બાળકોને બધી જ વસ્તુના ભાગ પાડી દેતી. અમે કાકા બાપાના થઇ 13 બાળકો. ફ્રુટ, ડ્રાયફ્રુટ કે મીઠાઈ ભાગ જરૂર પડતા. ધારોકે દ્રાક્ષ હોય તો 13 વાટકીમાં બધાને 35-35 દાણા અપાતા અને પછી 14મી વાટકી મૂકી બા કહેતી કે આ ભગવાનની વાટકી છે.
તમારામાંથી બધાએ એમાં 2-2 નંગ મુકવાના. અને અમે એવું કરતા પણ ખરા. ભગવાનની વાટકી એમ જ ભરેલી પડી રહેતી અને અમે રમવા ચાલી જતા. ઘણીવાર એમ બનતું કે અચાનક કોઈ મહેમાન આવી જાય તો એ વાટકીમાંથી એમને પણ પીરસાતું અને કોઈ ના આવે તો એને ઝાડ નીચે પધરાવવાનું અને પક્ષીઓ, કીડી મંકોડાને આ ખાતા અમે જોઈ રહેતા.
બા અમને એ રીતે શીખવાડ્યું કે આંગણે આવેલા મહેમાન, ભિક્ષુક કે જીવજંતુ રુપે ભગવાન આવીને એમનો ભાગ ખાઈ જાય છે. અમને ક્યારેય એવું ના લાગ્યું કે બાજુવાળા રમીલામાસી આવીને કેરી ખાઈ ગયા અમને સંતોષ હતો કે ભગવાન જ આવીને લે છે.
સાયકોલોજીકલી આ વાતની કેટલી અસરો અત્યારે પણ મારા જીવનમાં પડે છે, બાનું ગણિત કેટલું સાચું હતું.
અત્યારે પણ હું જમવા બેસું ને કોઈ આવી જાય, તો મારો મુડ નથી બગડતો. બિલાડી આવીને દૂધ પી જાય, ઢોળી નાખે, ઢાંકીને મુકેલા લાડૂ પર કીડીઓ ચડી જાય તો ગુસ્સો નથી આવતો એ રીતે ભગવાન એમનો ભાગ લઇ રહ્યા છે એમ માની હળવી થઇ જાઉં છું.
સૌથી મોટો ફાયદો એ થયો કે ક્યારેય એવું નથી લાગ્યું કે જોયું. હું બીજા કરતા ચઢિયાતી છું. મેં ના આપ્યું હોત તો એનું શું થાત આમ ક્યારેય અભિમાન નથી આવ્યું અને અભિમાન ના આવે એટલે છકી પણ ન જવાય.
દોસ્તો, ભગવાને તો આપણને કેટલું બધું આપ્યું છે, માતા પિતા,ભાઈ બહેન, દાદા દાદી, આખું કુટુંબ, રહેવા માટે ઘર ખાવા માટે અનાજ, સૂર્ય ચંદ્ર, ફળફળાદી, પૃથ્વી, આકાશ, જળ વાયુ ને કાઈ કેટલુય. હવે થોડુંક આપીએ તો એનો અહંકાર શો.
માતાએ નાના ભાઈને કશુંક વધારે આપ્યું તો એ મારામાંથી ભગવાનનો ભાગ હતો એમ માનીએ તો કેટકેટલા સંઘર્ષો અટકી જાય કેટલા કેસ સમૂળગા બંધ થાય. અહંકાર ને મન દુ:ખ કશું જ ના રહે ત્યારે જીવવાની કેવી મઝા આવે.
ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે. તું કર્મ કર ફળની અપેક્ષા ન રાખ ફળ તને આપો આપ મળશે.
તો આ રીતે જીવીશું તો આપો આપ જ ફળની અપેક્ષા નહિ રહે. ઈશ્વર કરે આપણે બધાજ આવા અહોભાવથી જીવી શકીએ.
- સાચા જરથોસ્તી બનવું - 5 July2025
- નવસારીના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથેહેરિટેજ આસન - 5 July2025
- Numero Tarot By Dr. Jasvi - 5 July2025