કેટલાક નેતાઓ માનવીય આત્માની જીતને એટલી ઊંડાઈથી વ્યક્ત કરે છે જેટલી દાદાભાઈ નવરોજી કરે છે. ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા તરીકે યાદ થતા નવરોજી રાષ્ટ્રવાદી, રાજનેતા, અર્થશાસ્ત્રી, સામાજિક સુધારક, શિક્ષણવિદ તથા બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય હતા. દરેક ભૂમિકામાં તેઓએ ન્યાય, સમાનતા અને ભારતના હિત પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા દર્શાવી.
નવરોજીના નેતૃત્વે આધુનિક ભારતીય રાષ્ટ્રવાદને આકાર આપ્યો. તેઓ ત્રણ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને વારંવાર ભાર મૂક્યો કે દરેક ધાર્મિક કે સામાજિક ઓળખથી ઉપર, આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે. પાર્લામેન્ટમાં તેમણે માત્ર અંગ્રેજ મતવિસ્તારનું નહીં પરંતુ 25 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કર્યું. ચર્ચામાં તેમનો સન્માનજનક અંદાજ, શાંતિપૂર્ણ દૃઢતા અને નૈતિક સાહસ સૌને પ્રભાવિત કરતું.
1825માં એક ગરીબ પારસી પૂજારીના ઘરમાં જન્મેલા નવરોજીએ માત્ર ચાર વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા. માતા માણેકબાઈના સંઘર્ષ અને સમર્પણથી તેમનો સ્વભાવ ઘડાયો. તેમની પ્રેરણાથી નવરોજીએ સ્ત્રી શિક્ષણને સમર્થન આપ્યું અને બાદમાં સ્વીકાર્યું કે મને જે બનાવ્યું તે મારી માતાએ. માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે તેઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં ગણિતના પ્રોફેસર બન્યા, જેને તેઓએ જીવનનો સર્વોચ્ચ ગૌરવ ગણાવ્યો.
જરથોસ્તી સુધારક તરીકે તેમણે રાહનુમાએ માઝદયસ્ને સભાની સ્થાપના કરી અને રાસ્ત ગોફ્તાર જેવા સામયિકો શરૂ કર્યા. તેમણે ક્યારેય આસ્થાનો ઉપહાસ કર્યો નહીં, પરંતુ ધીરજથી તર્ક અને સત્યનો માર્ગ અપનાવ્યો.
1855માં તેઓ લંડન ગયા અને કામાં એન્ડ કો. સંચાલિત કરનાર પ્રથમ ભારતીય બન્યા. ફિલોસોફર-ટ્રેડર તરીકે ઓળખાતા નવરોજીએ અફીણ કે દારૂના વેપારમાંથી નફો કમાવવાનો ઈનકાર કર્યો અને પછી પોતાની કંપની શરૂ કરી. તેમનું વ્યાપાર દર્શાવતું કે નૈતિકતા અને વ્યવસાય સાથે ચાલે શકે છે.
તેમનું સૌથી નોંધપાત્ર યોગદાન ડ્રેઇન થિયરી હતું, જેમાં તેમણે બ્રિટિશ શાસન ભારતની સંપત્તિને કેવી રીતે ખંખેરી કાઢે છે તે હિસાબ અને તથ્યો સાથે રજૂ કર્યું. આથી રાષ્ટ્રીય ચળવળને બૌદ્ધિક આધાર મળ્યો અને સ્પષ્ટ થયું કે ભારતને દાન નહીં, ન્યાય જોઈએ.
નવરોજીએ થોડા સમય માટે બરોડાના દિવાન તરીકે સેવા આપી, પરંતુ ભ્રષ્ટાચાર સામે સમાધાન કરવાને બદલે રાજીનામું આપ્યું. 1892માં તેઓ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાયા અને બાઈબલ બદલે ખુર્દે અવસ્તા પર શપથ લીધા, જે તેમની દૃઢતા અને હિંમતનું પ્રતિક બન્યું. નાની બહુમતીથી જીત્યા હોવાથી તેઓ મિસ્ટર નેરો માર્જિન કહેવાયા, પરંતુ તેમનો પ્રભાવ વિશાળ રહ્યો.
1917માં 93 વર્ષની વયે દાદાભાઈ નવરોજીનું અવસાન થયું. તેમનું જીવન ઈમાનદારી, સેવા અને ભારતપ્રેમથી વ્યાખ્યાયિત હતું. જરથોસ્તના ઉપદેશ પ્રમાણે તેમણે અન્યોને સુખી કરીને પોતાનું સુખ મેળવ્યું અને પ્રેરણાદાયી વારસો છોડી ગયા.
- પરિવારનું બંધન દરેક પારસી ઘરની નિઃશબ્દ શક્તિ - 8 August2026
- હુમ્તા, હુખ્તા, હવરશ્તા ત્રણ સરળ શબ્દો જે દુનિયા બદલી શકે છે - 8 August2026
- નવરોઝનો સાચો ભાવ આત્માના નવજીવનની શરૂઆત - 8 August2026
