નવસારીના પારસી સમુદાયે સુરત-નવસારી હાઇવેને ચાર લેન કરવાનો પ્રસ્તાવ અંતર્ગત પવિત્ર ડુંગરવાડીની જમીનના એક ભાગના અધિગ્રહણ સામે પોતાનો વિરોધ વધુ તેજ કર્યો છે. સમુદાયે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ)ને અપીલ કરી છે કે સ્થળની પવિત્રતા જળવાઈ રહે તે માટે વૈકલ્પિક માર્ગરેખા અપનાવવામાં આવે.
આ મુદ્દો પ્રથમ વખત 2025ની શરૂઆતમાં સામે આવ્યો હતો, જ્યારે સરકારી અધિકારીઓ પૂર્ણા નદીના કિનારે આવેલી ડૂંગરવાડીમાં પ્રાથમિક સર્વે માટે આવ્યા હતા. સમુદાયના સભ્યોએ પૂર્વ જાણ અથવા પરામર્શ વિના થયેલી આ મુલાકાત સામે કડક વાંધો નોંધાવ્યો હતો. ત્યારબાદ, આ વિરોધ પછી એનએચએઆઈએ સત્તાવાર નોટિસ જારી કરી અને જમીનની જરૂરિયાતનો અંદાજ લેવા ફરી સ્થળ પર મુલાકાત લીધી.
રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ કેરસી દેબુના જણાવ્યા અનુસાર, પ્રોજેકટ હેઠળ હાલના બે લેનના રસ્તાને ચાર લેનમાં ફેરવવાની તથા નેશનલ હાઇવે 64 પર સમાનાંતર બ્રિજ બનાવવાની યોજના છે. વર્તમાન માર્ગરેખા મુજબ, અંદાજે 10 એકર વિસ્તાર ધરાવતી ડુંગરવાડીમાંથી લગભગ 8,000 ચોરસ ફૂટ જમીન અધિગ્રહિત કરવી પડશે.
તેના જવાબમાં, સમુદાયે બે વૈકલ્પિક માર્ગ સૂચવ્યા છે-એક એવો જે લગભગ 500 વર્ષ જૂની ડુંગરવાડીને સંપૂર્ણપણે બાયપાસ કરે છે અને બીજો જેમાં જમીન અધિગ્રહણને આશરે 3,000 ચોરસ ફૂટ સુધી મર્યાદિત રાખવામાં આવે. કેરસી દેબુએ જણાવ્યું કે નવસારીના પારસી સમુદાયે વર્ષોથી વિકાસ પ્રોજેકટસમાં સહકાર આપ્યો છે અને લગભગ પાંચ વર્ષ પહેલા 28,000 ચોરસ ફૂટ જમીન પણ સોંપી હતી. પરંતુ હાલ નિર્ધારિત વિસ્તાર પવિત્ર માળખાઓ ધરાવતો હોવાથી વધુ અધિગ્રહણ સ્વીકાર્ય નથી.
તાજેતરમાં સમુદાયે સેવ ડુંગરવાડી લેન્ડ અભિયાન શરૂ કર્યું છે અને માર્ગ પરિવહન અને હાઇવેઝ મંત્રાલયનો સંપર્ક કરવાની યોજના જાહેર કરી છે. સમુદાયના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે વિકાસ જરૂરી છે, પરંતુ તે ધાર્મિક વારસાનો આદર રાખીને થવો જોઈએ. તેઓ માને છે કે ડુંગરવાડીનું સંરક્ષણ નવસારીના પારસીઓની આસ્થા અને ઓળખ જાળવવા માટે અતિ આવશ્યક છે અને સંવાદ, સંવેદનશીલતા તથા આદર આધારિત ઉકેલની માંગ કરી છે.
- નૈનાઝ મુનસફની નવી મોનાજાતે વિશ્વભરના દિલોને સ્પર્શ્યા - 17 January2026
- ડબ્લ્યુઝેડઓ (ઇન્ડિયા)ના સભ્યોએ8 આતશ બહેરામની યાત્રાથીનવા વર્ષની શરૂઆત કરી - 17 January2026
- આશા વહીશ્તા દાદગાહનો 8મો સાલગ્રેહ ઉજવાયો - 17 January2026
