ચૌદ વર્ષીય એર. મેહરઝાદ ફરઝાદ બલસારા પોતાની વયથી પણ વધુ ભક્તિ, શિસ્ત અને સેવાના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી રહ્યા છે. મુંબઈના બનાજી લીમજી અગિયારીમાંથી નાવર અને મારતબ તરીકે દીક્ષા પ્રાપ્ત કરનાર મેહરઝાદ છેલ્લા કેટલાય વર્ષોથી કરાણી અગિયારી, ખુશરોે બાગમાં ભાગકાલીન પ્રેકિટસિંગ મોબેદ તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં તેમણે ચાર અગિયારીઓમાં સ્વૈચ્છિક ધાર્મિક સેવા યાત્રા કરી, જેના કારણે સમગ્ર સમુદાયમાં તેમની ખૂબ પ્રશંસા થઈ.
પિતા ફરઝાદ બલસારા સાથે મેહરઝાદ દરેક અગિયારીમાં રોકાયા અને ત્યાં સંપૂર્ણ બોઈ વિધિઓ સંપન્ન કરી, જેથી સ્થાયી મોબેદોને જરૂરી આરામ મળી શકે. આ સેવા ભાવથી શરૂ થયેલી પહેલને ધીમે ધીમે સમુદાયનો સહયોગ મળતો ગયો. માચી અર્પણ અને દાન દ્વારા સમર્થન વધતું ગયું. વોટસએપ ગ્રુપ દ્વારા સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી. કુલ 41 માચી કરાઈ અને રૂ. 2.7 લાખ એકત્ર થયા, જે ચારેય અગિયારીઓમાં સમાન રીતે વહેંચવામાં આવ્યા. આ રકમ કાઠી ફંડ, જાળવણી તેમજ મોબેદો અને સેવકોના માનધન માટે ઉપયોગી બની.
યાત્રાની શરૂઆત તારાપોર અગિયારીથી થઈ, જ્યાં મેહરઝાદે સાડા ત્રણ દિવસમાં 14 બોઈ સંપન્ન કરી. ત્યારબાદ ફરીથી રપિથવન ગેહ બોઈ પણ અદા કરી. બોર્ડી અને દવીએરમાં તેમણે વરિષ્ઠ માર્ગદર્શન હેઠળ વિધિઓ કરી અને તેમની ઉચ્ચારણની શુદ્ધતા અને ચોકસાઈ માટે વખાણ મળ્યાં. નારગોલમાં યાત્રાનો અંતિમ અને વધુ પડકારજનક પડાવ રહ્યો, જ્યાં દાદગાહ અને આદરીયાન બંનેમાં સેવા આપી. અહીં સમુદાયના વડીલો સાથે થયેલી ચર્ચાઓ પણ અત્યંત અર્થપૂર્ણ રહી.
સ્ટાન્ડર્ડ 9માં અભ્યાસ કરતા મેહરઝાદ અભ્યાસ સાથે પ્રાર્થના, રમતગમત અને સેવામાં સુંદર સંતુલન રાખે છે. આ અનુભવ અંગે મેહરઝાદ અને તેમના પિતાએ જણાવ્યું કે આ યાત્રાએ તેમને ટ્રસ્ટીઓની નિષ્ઠાપૂર્ણ મહેનતની વધુ કદર કરાવી અને આવનારી પેઢી માટે ધર્મ, સંસ્થાઓ અને વારસાને જાળવવાની સામૂહિક જવાબદારીનું મહત્વ સમજાવ્યું.
- કૈઝાદ પટેલની નવી મોનાજાત સંત કુકાદારૂ સાહેબને અર્પણ - 7 February2026
- યંગ રથેસ્ટાર્સનું ગ્રામિણ ગુજરાતમાં સેવાનું સતત પ્રકાશપથ - 7 February2026
- હોમીયાર દુમસ્યા માટે બેડમિન્ટનમાં ઉજ્જવળ સફળતા - 7 February2026
