જો અહુરા મઝદા સર્વશક્તિમાન છે, તો પછી અહીરમન (દુષ્ટતા) હજુ પણ કેમ અસ્તિત્વમાં છે?

જરથોસ્તી ધર્મશાસ્ત્ર મુજબ દાદાર અહુરા મઝદા વાઇઝ લોર્ડ છે, જે સ્વભાવથી સંપૂર્ણ અને માત્ર સારા છે. તેથી, સારા સિવાય બીજું કંઈપણ તેમની પાસેથી ઉત્પન્ન થઈ શકે નહીં. આથી દુઃખ, પીડા, બીમારી, ગરીબી, ભૂખમરો, યુદ્ધ, આફતો અથવા મૃત્યુ જેવી નકારાત્મક બાબતોને અહુરા મઝદા સાથે જોડવી યોગ્ય નથી. તેઓ પૂર્ણતા અને કલ્યાણના સર્જક છે, દુઃખના નહીં.
અત્યારે આપણે ગુમેઝિશ્ન એટલે કે મિશ્રણની અવસ્થામાં જીવીએ છીએ, જ્યાં સર્જનાત્મક શક્તિ સ્પેન્તા મૈન્યૂ અને વિનાશક શક્તિ અંગ્રા મૈન્યૂ અથવા અહીરમન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અહુરા મઝદાએ પોતાના અનંત જ્ઞાનથી દુષ્ટ શક્તિના આગમનની આગાહી કરી હતી અને આ ભૌતિક વિશ્વની રચના ખાસ કરીને અહીરમનને ફસાવવા માટે કરી હતી, જેનું વર્ણન બુંદહિશ્નમાં મળે છે.
આને સમજવા માટે કલ્પના કરો કે ભગવાન એક દયાળુ અને જ્ઞાની માળી છે, જેણે સુંદર બગીચો બનાવ્યો છે. તે જાણે છે કે એક દિવસ કોઈ જંગલી પ્રાણી આવી તેની રચનાનો વિનાશ કરશે. માળી પાસે તેને નાશ કરવાની શક્તિ હોવા છતાં, તેની દયાળુ પ્રકૃતિ તેને મારી નાખવા ઇચ્છતી નથી. તેથી તે એક ઊંડો ખાડો ખોદે છે અને તેમાં પિંજરું મૂકે છે. જ્યારે જંગલી પ્રાણી બગીચામાં વિનાશ કરવા આવે છે, ત્યારે તે ખાડામાં પડી ફસાઈ જાય છે. તે આખી શક્તિથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંતે થાકી જાય છે અને તેની વિનાશક શક્તિ નિષ્ક્રિય બની જાય છે. ત્યારબાદ માળી તેને મુક્ત કરે છે અને તે દુષ્ટતાથી સદગુણ તરફ પરિવર્તિત થાય છે.
આ ઉપમા આપણા આધ્યાત્મિક વચનને દર્શાવે છે કે સમયના અંતે અહીરમનની શક્તિ સમાપ્ત થશે. ત્યારબાદ ફ્રાશોકેરેતિ એટલે કે અંતિમ પુનર્નિર્માણ થશે, જ્યાં સમગ્ર સર્જન ફરી સંપૂર્ણ, નવેસરથી જીવંત અને શુદ્ધ બનશે. ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે, કારણ કે માનવજાતને ફ્રી વિલ એટલે કે પસંદગીની સ્વતંત્રતા આપવામાં આવી છે.
અહુરા મઝદાએ દરેક વ્યક્તિને પ્રકાશ અને અંધકાર વચ્ચે પસંદગી કરવાની શક્તિ આપી છે.

Leave a Reply

*