શાહનામાની સુંદરીઓ: ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

તેમ યજત હુતઓસ…. અઓમ જઈધ્ધત અવત આયપ્તેમ દજદિ મે વયુશ યો ઉપરો કઈર્યો, યત ખવાની ફ્રય ફ્રિથ પઈતિજન્ત, ન્માને કવોઈશ કવોઈશ વીશ્તાસ્પહે.

(રામ યશ્ત ફ. 35-36)

અર્થ: તે (એટલે રામ યજદ)ને હુતઓસ એ આરાધ્યો… અને તેનાથી મોરાદ ભાગી કે ઓ કૌવતમંદ વાએ યજદ! આ બખરોશ અને આપ કે ગુશ્તાસ્પનાં ઘરમાં હું પ્યારી, પ્યાર પામેલી અને માનવંતી થાઉં.

અવસ્તાનો રામ યશ્તનો આ ફકરો દેખાડે છે કે પાદશાહ ગુસ્તાસ્પની રાણીનું અવસ્તાનું નામ હુતોસ હતું. અને તેણીની મોટામાં મોટી મોરાદ આ હતી કે તેણી પોતાના ખાવિંદનાં ઘરમાં તેનો સઘળો પ્યાર મેળવે અને માનવંતો મરતબો ધરાવે.

અવસ્તા મુજબ હુતોસની એ મૌરાદ બર આવી, એટલે કે તેણી શાહ ગુશ્તાસ્પની ઘણી માનીતી રાણી થઈ. હવે પએગમ્બર જરથોસ્તે જ્યારે ગુશ્તાસ્પની દરબારમાં પોતાની દીન જાહેર કીધી, ત્યારે કુદરતી રીતે તેની ઉમેદ આ થઈ કે તે પહેલે રાણી હુતોસ ઉપર પોતાની દીનની અસર કરે કે તેથી તેણી કુદરતી રીતે તેને તેનાં દીનનાં કામમાં મદદ કરે. તેથી તે ગોશ અને અશીશવંઘ યશ્ત પ્રમાણે એ બેઉ યજદો પાસે એ મોરાદ માંગે છે. ગોશ યશ્તમાં કહે છે કે –

તામ યજદ યો અષવ જરથુસ્ત્રો અઈર્યેને વએજહિ વંધહુયાઓ દાઈત્યયાઓ… દજદિ મે વંઘઉહિ સેવિશ્તે દ્રવાસ્તે તત આયપ્તેમ,  યથ અજેમ હાચયેને વંઘઉહીમ આજાતાંમ હુતઓસાંમ અનુમતેએ દએનયાઓ, અનુખ્તેએ દએનયાઓ, અન્વર્શ્તેએ દએનયાઓ, યા મે દએનામ માજદયસ્નીમ જરસ્ય દાત, અપએય અઓતાત યા મે વરેજાનાઈ, વંઘઉહીમ દાત ફ્રસસ્તીમ,

(ગોશ યશ્ત ફ. 25-26).

અર્થ: અશો જરથોસ્તે વેહેદાઈતી નદીવાળાં ઈરાન વેજમાં તેણીને (એટલે દ્રવાસ્પ યાને ગોશ યજદને) આરાધી… કે ઓ ભલી, ફાયદો કરનારી દ્રવાસ્પ! મને આ બખશેશ આપ કે હું ભલી, સારાં ખાનદાનવાળી હુતોસને, દીનના વિચાર પ્રમાણે, દીનના વચન પ્રમાણે અને દીનનાં કામ પ્રમાણે ચલાઉં, જેણી મારી માજદયસ્ની દીન ઉપર દિલ આપે, (તે દીન ઉપર) પોતાની મરજી જણાવે (અને) જેણી મને કામકાજમાં ભલી શિખામણ આપે.

અશીશવંઘ યશ્ત (ફ 45-46)માં પણ પએગમ્બર જરથોસ્ત એવીજ દુઆ ગુજારે છે. એવું દિસે છે કે પએગમ્બર જરથોસ્તની એ મોરાદ બર આવી અને રાણી હુતોસએ તેને દીનનાં કામમાં ઘણી મદદ કીધી, અને તેણીના લાગવગથી જરથોસ્તી દીન વધુ ફેલાવો પામી. તેણીના લાગવગથી શાહ ગુસ્તાસ્પ પણ એ દીનની બાજુ અને ટેકા સમાન થઈ પડ્યો. વાજબી રીતે સરખામણી કરવામાં આવે છે કે જેવી સેવા બુધીસ્ત ધર્મના હીંદી રાજા અશોકે બજાવી હતી, તેવીજ સેવા ગુશ્તાસ્પે જરથોસ્તી ધર્મની બજાવી હતી. પણ ફરક આ કે કોનસ્ટનટાઈન અને અશોકે તે સેવા તે ધર્મોના પએગમ્બરના જમાના પછી લાંબે વખતે બજાવી હતી, પણ ગુસ્તાસ્પે તો તે સેવા ખુદ પએગમ્બર જરથોસ્તના જમાનામાંજ બજાવી હતી.

રાણી હુતોસે પોતાનો લાગવગ વાપરી દીનની જે સેવા બજાવી, તે સેવા કાજે તેણીનાં ફરોહરોને ફર્વર્દીન યશ્ત (ફ. 139)માં નીચે પ્રમાણે યાદ કરવામાં આવે છે –

હુતઓસયાઓ અષઓન્યાઓ ફ્રવષીમ યજમઈદે.

અર્થ: અશો હુતઓસનાં ફરોહરને અમો આરાધીએ છીએ.

અવસ્તામાં જણાવેલું એ હુતોસ અથવા હુતઓસ નામ, યુનાનીઓ, એક ઈરાની બાનુનાં નામ તરીકે જે ઓટોસા નામ જણાવે છે, તેજ છે. હવે પાદશાહ ગુશ્તાસ્પની રાણી હુતોસનું નામ ફીરદોસીનાં શાહનામામાં કએતાયુન તરીકે મળે છે, અને એજ સબબે આફ્રીનગાનના દિબાચામાં એણીને નીચે મુજબ યાદ કરવામાં આવે છે —

કએતાયુન ગુશ્તાસ્પ પાદશાહની અનુશેરવાન વાળી કએતાયુનનાં રવાનગી અહીં યાદ હોજો.

હવે શાહનામાનાં દાસ્તાન ઉપર આવતાં દિસે છે કે પાદશાહ કએખુશરૂએ ઈરાનનાં રાજ્યનો ત્યાગ કર્યો, ત્યારે તેણે પોતાના ગાદીવારસ તરીકે લોહોરાસ્પને નિમ્યો.

એ લોહોરાસ્પ તેના બપાવા કએકૌસના ભાઈ કએપીસીનના છોકરા માનુશના છોકરા અઉઝવનો છોકરો હતો. જો કે કૌસનાં ખાનદાનના બીજા પાદશાહી નબીરાઓ હૈયાત હતા, તે છતાં કએખુશરૂએ તેઓને મેલી દઈ કૌસના ભાઈની શાખાના એક નબીરા લોહોરાસ્પને રાજગાદી માટે પસંદ કર્યો, કારણ કે તે એક ભલો પરહેજગાર નેક મરદ હતો અને ભલો પાદશાહ નીવડવાની આશા આપતો હતો.ઈરાની દરબારીઓ આ નેમણુકથી પહેલે નારાજ થયા હતા અને બુઢા જાલેજરે એ નારાજી દરબારીઓ તરફથી કએખુશરૂને ભર મીજલસમાં જાહેર કીધી હતી; પણ જ્યારે કએખુશરૂએ પોતાની પસંદગીનો ખરો સબબ જણાવ્યો ત્યારે તેઓ ખુશી થયા હતા.

(ક્રમશ)

About ડો. સર જીવનજી જમશેદજી મોદી

Leave a Reply

*