શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ કામ કરે છે. દાનવ આદમીએ એ બાબે કજીયો કરવો નહીં જોઈએ, કારણ કે દીનનો રાહ છે અને એમાં શરમ જેવું કાંઈ નથી. ત્યારે તમો મારા દુરઆગાહ મોબેદો આ બાબે શું કહો છો? દાનવો આ બાબતમાં શું પરિણામ જુએ છે?’

જાલના આ સખુનો સાંભળી, મિજલસના મોબેદો અને દાનવો ચુપ રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા, કે મહેરાબનો વડવો જોહાક હતો અને તેથી મીનોચહેર શાહને જાલ અને રોદાબેની શાદી પસંદ પડશે નહીં. સઘળાઓને ચુપ જોઈ જાલે જાણ્યું કે તેઓને આ વાત બરાબર પસંદ પડતી નથી. તેણે તેઓને કહ્યું કે ‘આ બાબતમાં શું કરવું તે બાબે તમો મને ઈલાજ સૂચવો.’ તેઓએ કહ્યું કે ‘મહેરાબ જો કે તારો બરોબરીઓ નથી, તો પણ તે બહાદુર અને શક્તિવાન છે. જો કે જોહાકના ટોળાનો છે તો પણ તે આરબોને સરદાર છે. માટે તું સામ ઉપર કાગળ લખી હુકમ માંગ. સામ, શાહ મીનોચહેર ઉપર કાગળ લખશે અને શાહ સામનો સખુન કરશે.’

આ સલાહ માન્ય કરી જાલે પોતાના બાપ સામ ઉપર કાગળ લખ્યો અને તેમાં તેની કેટલીક તારીફ કરી પોતાની હકીકત જણાવી, કે ‘હું મેહેરાબની બેટીની (મોહબત)થી રડતો થયો છુ અને જાણે રોશન આતશ ઉપર બળતો થયો છું. અંધારી રાતના સેતારાઓ મારા યાર થઈ પડયા છે. (એટલે રાત્રે ઉંઘ આવતી નથી અને તારાઓ ને જોયા કરૂં છું મારી હાલત દરિયાના કિનારા જેવી થઈ પડી છે. (એટલે મહોબતના દુ:ખના મોજાનો મારી ઉપર માર પડે છે.) હું પોતે રંજમાં આવી પડયો છું અને સઘળા લોકો મારી હાલત પર દયા કરી રહે છે. જો કે મારા દિલ ઉપર આટલો સેતમ પડે છે તો પણ તારા ફરમાન વગર હું કાઈ પણ કરવા માંગતો નથી. હવે તું જેહાન પહેલવાન શું ફરમાવે છે? તું આ દરદ અને સખ્તીથી મારા રવાનને છોડવ.’ જાલેજરે પોતાના બાપને વધુ યાદ આપી કે જ્યારે અલબુર્જ પહાડ ઉપરથી સીમોર્ગ પાસેથી તેણે તેને કબજામાં લીધો હતો ત્યારે ખોદાતાલા હજૂર કબુલાત આપી હતી કે તે તે ફરજંદની જેબી કાંઈ ખાહેશ હશે તે બર લાવશે. તેથી જાલે બાપ પાસે માંગી લીધું કે તેની મહેરાબની બેટી સાથે પરણવાની હાલ જે ખાહેશ છે તે બર લાવવી.

આ મુજબ એક નામુ લખી પોતાના બાપ પાસે કાસદ સાથે મોકલ્યું. તે કાસદને હુકમ આપ્યો કે અવારનવાર બે ઘોડા રાખી કુચ કરે કે એક થાકે તો બીજા ઉપર સવાર થાય. તે કાસદ સેતાબ પવન મિસાલે દોડ્યો. સામે સવાર આગળ આપી પહોંચી કુરનેશ બજાવી, તેની ઉપર ખોદાતાલાની દુઆ ગુજારી જાલનું નામું આપ્યું. સામે જાલનું નામુ લીધું અને તે વાંચી ફીકો થઈ ગયો તે ઘણા વિચારમાં પડયો તે મનમાં કહેવા લાગ્યો કે ‘જો હું ના કહું છું કે ડહાપણ ખરચીઆ કામથી તું હાથ ઉઠાવ તો હું દાદગર દાવર આગળ યાને અંજુમન આગળ વચન તોડનાર થાઉં છું, કારણ કે મેં તેની કોઈ પણ ખાહેશ બર લાવવાને કબૂલાત આપી છે. વળી જો હું હા કહુ છું તો એક હાથ ઉપર પક્ષીથી પરવરશ પામેલા આ જવાન, અને બીજા હાથ ઉપર દેવથી જન્મેલી પેલી બેટી એ બેઉની ઓલાદથી કેવાં ફરજંદો અવતરશે?’

(ક્રમશ)

About મરહુમ ડો. સર જીવનજી જમશેદજી મોદી

Leave a Reply

*