ઉત્તરાયણ અને મકરસંક્રાતિનો તાલમેળ

વર્ષોથી આપણે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એકજ તહેવાર માનતા આવ્યા છીએ અને એની ઉજવણી 14 કે 1પ જાન્યુઆરીએ કરીએ છીએ, પરંતુ આ વિશે ફોડ પાડતા ખગોળવિજ્ઞાની ડો. જે.જે. રાવલે કહ્યું કે ‘હકીકતમાં એ બન્ને જુદી-જુદી ખગોળીયા ઘટનાઓ છે. ઉત્તરાયણ ર1 કે રર ડિસેમ્બરે જ થાય અને સુર્યની સંક્રાંતિ તો દર મહિને થાય છે.

ઉત્તરાયણ કોને કહેવાય એ વિશે સમજ આપતા ડો. રાવલે કહ્યું હતું કે સાદી ભાષામાં કહીએ તો ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં સુર્યનું દક્ષિણ તરફની ગતિમાંથી ઉત્તર તરફનું પ્રયાણ એટલે ઉત્તરાયણ આ પ્રયાણ દર વર્ષે ર1 કે રર ડિસેમ્બરે થવાનું કારણ પૃથ્વીની ઝૂકેલી ધરી છે. લગભગ ર000 વર્ષ પહેલાં ઉત્તરાયણ વખતે સુર્ય મકર રાશિમાં પ્રવેશતો એથી પહેલા વિદ્વાનો અને પછી લોકો ઉત્તરાયણને મકરસંક્રાતિ કહેવા લાગ્યા, જે આજ સુધી ચાલ્યું છે. અગાઉ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ભયંકર ઠંડીમાં ઠુંઠવાતા એથી સુર્યના કિરણો ઉત્તર દિશા તરફ આવે એની પ્રતીક્ષા લોકો કરતા અને પછી તેને તહેવારની જેમ ઉજવવાનું શરૂ કર્યુ હતું. ઉત્તરાયણ તેમના માટે મોટો તહેવાર હતો અને આજે પણ પૃથ્વીના આ પ્રદેશોમાં એનું એટલું જ મહત્ત્વ છે. ઉત્તરાયણ પછી સુર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે ત્યારે વસંત ઋતુનું આગમન થાય છે. સૂર્ય સાથે મળીને પ્રકૃતિ પૃથ્વીને નંદનવન બનાવે એથી લોક ઉત્તરાયણની રાહ જોતા.

બીજી તરફ મકરસંક્રાંતિ કોને કહેવાય એ વિશે બોલતા ડો. જે.જે.રાવલે કહ્યું હતું, ‘લગભગ ર000 વર્ષ પહેલા મકરસંક્રાંતિ ઉત્તરાયણ સાથે જ થતી અને આપણે હજીય એને પકડીને બેસી ગયા છીએ, જે ખગોળ વિશેનું આપણું અજ્ઞાન છે. પૃથ્વીની કાલ્પનીક ધરીને ધ્યાનમાં લઇએ તો ખગોળીય રીતે પૃથ્વીની હાલકડોલક ગતિના કારણે વસંતસંપાત બિંદુ પશ્ર્ચિમ તરફ સરકે છે એના કારણે પૃથ્વી પરથી અવકાશમાં દેખાતું આખું રાશિચક્ર પશ્ર્ચિમ તરફ સરકે છે અને ઋતુઓ પાછી પડવાના કારણે મકરસંક્રાતિ અને ઉત્તરાયણ અલગ પડતી જાય છે. આની ગણતરી પ્રમાણે વસંતસંપાત એટલે કે મકરસંક્રાંતિ દર 7ર વર્ષે એક ડિગ્રી પશ્ર્ચિમ તરફ સરકતી હોવાથી મકરસંક્રાંતિ ચલાયમાન છ, પણ ઉત્તરાયણ તો ર1 કે રર ડિસેમ્બર અચળ છે. આ રીતે બે હજાર વર્ષમાં ઉત્તરાયણ અને મકરસંક્રાંતી દુર થતા-થતા મકરસંક્રાંતિ ર3,ર4,રપ ડિસેમ્બર અને પછી 14 જાન્યુઆરીએ પહોંચી છે.

મકરસંક્રાંતિ ખસવાનું ચક્ર રપ,600 વર્ષનું છે. એથી આ ગણતરી પ્રમાણે હવે ર3,600 વર્ષ પછી ફરીથી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકસાથે એટલે કે ર1 કે રર ડિસેમ્બરે આવશે પરંતુ આપણે 14 જાન્યુઆરીએ પતંગના પેચ લડાવવા અને ચીકી, પોંક કે લીલવા કચોરીનો આસ્વાદ માણવામાં કંઇ ખોટુ નથી, પરંતુ ઉત્સવપ્રિય ભારતની જનતાની નવી પેઢીને કમસેકમ આ ખગોળીય ઘટનાની સાચી જાણકારી તો મળવી જ જોઇએ.

 

પતંગ

મનના ગગનમાં ઉડે પતંગ

દોર એનો ઝાલે સજન

હારે સખી! દોર એનો ઝાલે સજન

પ્રીતના ગીતમાં ભુલાયા સૌ દુ:ખ

એ તો કોમળ કાળજાની હુંફ

મનના ગગનમાં ઉડે પતંગ

દોર એનો ઝાલે સજન

ધરતી ને આભનું અનેરૂ આ મીલન

જુએ એ ઉત્સુક થઈને નયન

મનના ગગનમાં ઉડે પતંગ

દોર એનો ઝાલે સજન

– આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*