ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

પાદશાહે જ્યારે જાણ્યું કે તે કોઈ બેગાનો ધણી છે, ત્યારે જવાબ દીધો કે ‘એવી બેટી કે જે નહીં જણાયેલા આદમીને પોતાના ખાવિંદ તરીકે પસંદ કરીને પોતાના ખાનદાન ઉપર નામોસી લાવે, તેવી બેટી કોઈને ત્યાં નહોતી. જો હું તે બેગાના મર્દ ને મારી છોકરી આપુ તો મારા ખાનદાનના નામ ઉપર નામોસી જોઉં. તેણીનું અને જે ધણીને તેણીએ પસંદ કર્યો છે. તે બેઉના સર મહેલમાં કાપી નાખવા જોઈએ.’ ત્યારે પાદશાહના વજીરે તેને શીખામણના શબ્દો કહ્યા કે ‘આ કામ તું ધારે છે તેવું કાંઈ ગંભીર કે મુશ્કેલ નથી. તારી આગમચના પાદશાહોના વખતમાં પણ એમ બન્યું છે. આગલા કએસરની છોકરીએ પોતાને મનગમતો વર પારકા મુલકના બીગાનાઓમાંથી પસંદ કર્યો છે. તે તારી છોકરીને પોતાનો સાથી (હમબાજ) ખોળવા કહ્યું હતું. તે એમ નહીં કહ્યું હતું કે ‘કોઈ સરફ્રાજ અમીર શોધજે.’ તેણીએ પોતાને જે પસંદ આવ્યો તે પસંદ કીધો. માટે હવે તું ખોદાતાલાના રાહ પરથી તારી અકકલના ફેરવ. તારા સરફ્રાજ અને દીનદાર પાક નેઆગાનોના વખતથી એ રસમ ચાલતી આવી છે. રૂમનો પાયો એ રીવાજ ઉપર જ નખાયેલો છે. આ આબાદ મુલકમાં તું તારો નવો રાહ દાખલ ના કર. તું નવા ધારા ના પાડ.’
કએસર કએતાયુનને ગુશ્તાસ્પને આપે છે
પોતાના વજીરના આ શબ્દો સાંભળી, કએસરે કએતાયુનને ગુશ્તાસ્પને આપી, અને કહ્યું કે ‘એણીને લઈને જા. એને મારા તરફથી ગંજ કે તાજ કે ખજાનો કાંઈ મળશે નહીં.’ આ સઘળું જોઈ ગુશ્તાસ્પ તો અજબ થઈ ગયો અને ખોદાતાલાને ઘણો યાદ કીધો. પછી પેલી જવાન બાનુ તરફ ફરીને કહ્યું કે ‘ઓ નાજ અને નખરામાં ઉધરેલી બાનુ! આટલા બધા સરદારો અને તાજદારો અને નામદારોમાંથી તે મને શા કાજે પસંદ કીધો છે? તે એક ગરીબ આદમીને પસંદ કીધો છે, જે જેની પાસે કાંઈ દોલત નથી. તું તેની સાથે મેહનતમાં પડશે. આ સરફ્રાજ મર્દોમાંથી કોઈ તારો બરોબરીયાને પસંદ કર. કે તેથી તારા બાપ આગળ તારી આબરૂ જલવાઈ રહે.’ ત્યારે કએતાયુને જવાબ દીધો કે અએ ભૂલભર્યા વિચાર કરનાર મરદ! આસમાનના ચક્રાવાએ જે સરજ્યું છે, તેથી રંજીદે ના થા. જો તારા નસીબથી હું સંતોષ પામી છું, તો તું અફસર અને તાજ અને તખ્ત શોધવાની શું કરવા વાત કરે છે?’
(ક્રમશ)

Leave a Reply

*