લોભિયા અસલાજી

હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદાઓ પાસે સાંભળેલી વાર્તામાંથી તમને લોભિયા અસલાજીની વાત અહીં રજૂ કરૂં છું. તમને વાંચવી જરૂર ગમશે.

એક હતો લોભિયો નામ હતું અસલાજી. નારગોલમાં રહેનાર અસલી, પાકા ને ખરેખર લોભિયા હતા આપણા અસલાજી. એક દિવસ અસલાજીને લીલું કોપરૂં ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’

‘અલ્યા નાળિયેરવાળા! આ નાળિયેરનું શું લઈશ?’

‘કાકા! બે રૂપિયા.’

‘બે રૂપિયા? બાપરે, એ આપણું કામ નહિ. રૂપિયાનું નાળિયેર ક્યાંય મળે કે?’

‘કાકા! જરા આગળ જાઓ તો મોટી બજારમાં મળશે.’

‘ચાલને મોટી બજાર સુધી જાઉં! એક રૂપિયો બચતો હોય તો પગ છૂટો થશે ને સસ્તું નાળિયેર પણ મળશે.’  એમ વિચારી અસલાજી ચાલ્યા આગળ.

‘અલ્યા ભાઈ! નાળિયેરનું શું લે છે?’ ‘કાકા! એક રૂપિયો. જૂઓ આ પડ્યાં નાળિયેર. જોઈએ એટલાં લઈ જાઓ!’

‘અરે! હું આટલે સુધી ચાલીને આવ્યો ને તું એક રૂપિયો માંગે છે? પચાસ પૈસે આપ, પચાસ પૈસે.’ અસલાજી આંખો જીણી કરતા બોલ્યા.

‘તો કાકા! જરા વધુ આગળ જાઓ, ગામ બહારની વખારમાંથી તમને પચાસ પૈસે મળશે.’

‘રૂપિયો બચતો હોય તો ભલેને થોડું ચાલવું પડે એટલું ચાલી નાખશું. લાવને, વખાર સુધી જાઉં!’ એમ કરી અસલાજી વધુ આગળ ચાલ્યા.

‘અલ્યા વખારવાળા! આ નાળિયેર કેમ આપ્યાં? આ તો સારાં લાગે છે!’

‘કાકા! એમાં શું ભાવ કરવાનો હોય? લઈ જાવ પચાસ પૈસે નાળિયેર.’

‘અરે રામ! આટલું ચાલ્યો એ પાણીમાં ગયું? એમ કર, પાવલીમાં આપીશ? આ લે રોકડા પૈસા.’

 પેલો વખારવાળો સમજી ગયો કે આ કાકો ઘણોજ કંજૂસ છે તેને લાગ્યું લાવને કાકાને થોડો સતાવવા દે તેણે કહ્યું, ‘કાકા! પાવલી પણ શું કામ ખરચવી? એક કામ કરો. જૂઓ અહીંથી કલાક આગળ ચાલીને જશો તો દરિયા કિનારો આવશે. ત્યાં નાળિયેરીના હારબંધ ઝાડ છે. ઝાડ ઉપર ચડી તમ તમારે નાળિયેર તોડી લેજોને. એક પૈસો પણ ખરચવો નહિ અને જોઈએ એટલા નાળિયેર મળશે!’

 લોભિયા અસલાજી તો લલચાઈ ગયા. કહે, ‘હવે આટલા ભેગું આટલું. ચાલને ઝાડ ઉપરથી જ નાળિયેર ઉતારી લઉં! પાવલી બચતી હોય તો એક ટંક દૂધ આવશે. પાવલી ક્યાં મફત આવે છે?’ લોભિયા અસલાજી તો ઉપડ્યા દરિયા કિનારે અને નાળિયેરી ઉપર ચડ્યા. મનમાં એમ કે ‘આટલાં બધાં મોટાં મોટાં નાળિયેર અબઘડી ઉતારીને  બાંધીને લઈ જાઉં! એક પૈસો યે દેવાનો નહિ ને સાવ તાજાં નાળિયેર! આ વાત તો બહુ સારી કહેવાય.’

 લોભિયા અસલાજી ઝાડની ઉપર જેમ તેમ છેક ઉપર પહોંચી તો ગયા લાંબો હાથ કરીને નાળિયેર તોડવા ગયા પણ નાળિયેર તોડવાની આવડત કે અનુભવ નહિ એટલે નાળિયેરનું ઝૂંડ પકડીને જ લટકી પડ્યાં ન નાળિયેર તૂટે ને ન પોતે નીચે ઉતરી શકે. એવી તો હાલત ખરાબ થઈ ગઈ કે વાત ન પૂછો. બૂમાબૂમ કરી માણસો ભેગા કર્યાં પણ કોઈ એમને નીચે ઉતારવા તૈયાર નહિ. છેવટે એક મજૂર તૈયાર થયો પણ કહે કે ‘શેઠ! તમને નીચે ઉતારવાના દસ રૂપિયા થશે.’ ખૂબ રકઝક પછી પણ એ ન માન્યો એટલે લોભિયા અસલાજી થાકી-હારીને દસ રૂપિયા આપી નીચે ઉતર્યા પણ નીચે ઉતરતાં ઉતરતાં એક નાળિયેર તો પોતાની સાથે લઈ જ આવ્યા.

આમ લોભિયા અસલાજીને બે રૂપિયાનું એક નાળિયેર છેવટે દસ રૂપિયામાં પડ્યું!

About બહાદુર ભગત

Leave a Reply

*