માંથ્રની ગોઠવણી ડોકટરના નુસ્ખાની માફક છે તેમાં ગમે તેમ વધઘટ કરવી નુકસાનકારક છે. ‘માંથ્ર’ની અંદર બાતેની આતશી ગતિનું બંધારણ

જે પણ કંઈ અવસ્તા આપણી પાસે છે તે નુસ્ખારૂપ છે. તેને કાયદેસર વાપરવાના છે, અને તેની ઉપર ઈમાન રાખવું તે બંદગીનો એક ભાગ છે અને તેને કાયદેસર જેમ આપેલું છે તેમ ભણવું બંદગીનો બીજો ભાગ છે. આજે કેટલાકો જેઓ બંદગીને કાપવાની સુખરૂઈ કરે છે, તેઓ માંથ્ર શું છે તેનું કંઈબી ભાન રાખતાજ નથી. બંદગીની રચનાને તોડવાથી જેમ ખોરાક કાચો રહેવાથી બીન-જમીઅત થઈ જાય છે અને જેમ ડોકટરના નુસ્ખામાંથી એક વસાણું કાઢી નાખવાથી દવાનું જોર નરમ પડી જાય છે, તેમ તેવી હાલત ઉભી થાય છે. ડોકટરના નુસ્ખામાંથી કોઈનેબી એક વસ્તુ કાઢી નાખવાનો કે ઉમેરવાનો હક નથી અને ખોરાકને કાચો રાખીને ખવડાવવામાં સવાબથી ઉલટુ પાપ ઉભુ થાય છે. આવી બંદગીના વ્યાકરણી અર્થો ઉપરાંત તેના ઉંડા ખરા ભેદી મીથ્રની સમજ રાખ્યાથી, ભણતી વખતે તે સમજ ઉપર ધ્યાન રાખવે, મન ભણતી વખતે બહાર ભમી શકતું નથી. માંથ્ર આતશી ચીજ છે. જેમ આતશ ઉપર જે કાંઈ બાળશો તેનો સ્વભાવ માલમ પડી આવશે, તેમ માંથ્રો ભણતા મનનો આતશ સળગીને પોતાનું ર્દુગંધ કે સુગંધ બહાર કાઢે એ તો કુદરતી જ છે. માટે તેવાં મનને રોકવા સારૂ, ભણતી વખતે કઈ જાતના બુલંદ વિચારો તે ભણવાના અર્થ પ્રમાણે કરવા જોઈએ તે અત્રે આપેલા છે.

આ કેતાબમાં આપેલી સમજણની ખાસ કીંમત

ત્યારે આ કેતાબમાં અવસ્તાની ઉકેલામણ જે થઈ છે. તેમાં વ્યાકરણને કાયદે થતા અર્થોનો મુદ્દો બરાબર સાચવી રાખ્યો છે. પણ તે ઉપરાંત જે અંદરનો ભેદ, બાતેન મની છે, તેને વિસારી દીધી નથી. આમ છે માટે આ ઉકેલામણ દીન વિશેનું ખરૂં ભાન આપી શકે છે.

બંદગીના ભરતર માટે યકીન, એતેકાદની જરૂર

ભણતરોનાં શબ્દાર્થ ઉપરાંત તેની ભેદ, તાવીલ, નીકીઝ જાણવાની જરૂર

આ યશ્તો-નીઆએશો વગેરે જે અવસ્તા આપણી પાસે છે તેઓ એક દુરસ્ત બાંધેલી ચીજ છે. જેમ એક ડોકટર પોતે પ્રીસ્ક્રીપ્શન લખીને દરદીને આપે છે. અને દરદી તે પીને ફાયદો મેળવે છે તેમ આ ભણતરો પ્રીસ્ક્રીપ્શન રૂપની બાંધેલી વધેલી છે, જે ભરવાથી રૂવાનને તન-મનને ફાયદો મળે છે. ડોકટરની દવા પીતી વખતે પીનાર દરદી કાંઈ દવા શી છે, કઈ છે, તેના ગુણો શા છે, એમ વિચાર કરીને દવા પીતો નથી, પણ તે તો ડોકટરની ઉપર ભરોસો મુકીને મને ફાયદો ખોદા કરે એમ ઈચ્છીને દવા પીએ છે. આવીજ રીતે આ અવસ્તાના ભણતરોને દીન ઉપરના પુરા વિશ્ર્વાસથી ભણવાના છે. જેમ ડોકટરના નુસ્ખાની અંદરની દવાના ગુણો શા હશે તે જાણવાનું જ્ઞાન, ઝાડપાલા વિગેરેનું જ્ઞાન, જેને અંગ્રેજીમાં મેટીરીઆ મેડીકા કહે છે, તે જ્ઞાન રહે છે,જેમાંથી ડોકટરે તે દવા શા માટે આપી હશે તેનો ભેદ ખુલી જાય છે. તેમ આ ભણતરોના ભેદ જાણવાનું જ્ઞાન જુદુજ રહે છે. જેને નીકીઝ=તાવિલ, ઉકેલામણ કહે છે. આમ છે માટે આ ભણતરોના શબ્દ અર્થોને વિસ્તારવા પડે છે કે જે પછી જ તે વિશેનું ખરૂં જ્ઞાન આવી શકે. આ ભણતરોને યશ્ત-નીઆએશ એમ જુદા જુદા નામ આપવાના કારણો તે ભણતરો તન-મનની જુદી જુદી નાદરોસ્ત હાલતને સુધારી શકશે તે મુદ્દા ઉપર રહ્યા છે. આમ આ આપણા ભણતરોને સાધારણ રીતના સાહિત્ય તરીકે લેવાના નથી પણ એક બાંધેલી કાર્યસાધક વસ્તુ, નુસ્ખા તરીકે લેવાના છે.

Leave a Reply

*